Friday, August 31, 2012

‘ઑસમ કા મૉસમ’.... ‘સિર્ફ એહસાસ હૈ યે...’


‘ઑસમ કા મૉસમ’માં આજે ૧૧ મિનિટનો એક વિડીયો જુઓ. એક ડૉલ્ફીન માછલી અને કૂતરા વચ્ચેના સંબંધની આ વાર્તા છે. તેને ‘દોસ્તી’ કહેશો કે ‘પ્રેમ’ એ આખી આ શૉર્ટ ફિલ્મ પત્યા પછી નક્કી કરજો. બલ્કે ગુલઝારના શબ્દોમાં ‘સિર્ફ એહસાસ હૈ યે રૂહ સે મેહસુસ કરો...” એમ કહી કશું નામ પાડ્યા વગર તેને માણવાની પણ એક મઝા છે જ. જો કે મને આમાં ‘ઑસમ’ લાગ્યું છે, પિક્ચરાઇઝેશન!

પડદા ઉપર દેખાતી આ Awesome ફિલ્મના સર્જનમાં પડદા પાછળની મહેનત વધારે Awesome છે; એ ફિલ્મો અને તેના સર્જન સાથે સંકળાયેલી વ્યક્તિ વધુ યોગ્ય રીતે સમજી-સમજાવી શકે. એક સ્ક્રીપ્ટ પ્રમાણે માછલી અને કૂતરાને કામ કરાવવા કરતાં પણ અઘરું હતું એ તમામને કૅમેરામાં કંડારવું. અંડરવૉટર સિનેમેટોગ્રાફી અને સૂર્યાસ્તના બૅક ગ્રાઉન્ડમાં હવામાં ઉછળતી ડૉલ્ફીનને પડદા ઉપર ઝીલવામાં દિવસોની ધીરજ જોઇએ. તેનું પરિણામ પણ કેવું અદભૂત મળે છે અને આવકાર? આ વિડીયો વિશ્વના ૫૦ લાખ (ફાઇવ મિલીયન)થી પણ વધુ લોકોએ જોયો છે!   Isn't that itself Awesome?

ENJOY this beautiful short film. I am sure it will make your Day!! 




(બાય ધી વે, મને ડોલ્ફીનનો ચહેરો સદાય હસતો અને આનંદી લાગ્યો છે. તમને કેવો લાગ્યો?)


Monday, August 27, 2012

“ઇતના સન્નાટા ક્યૂં હૈ, ભાઇ?”


 “ઇતના સન્નાટા ક્યૂં હૈ, ભાઇ?” એમ ‘શોલે’માં પૂછનાર ચરિત્ર અભિનેતા એ.કે.હંગલનું દેહાવસાન ૨૬મી ઓગસ્ટે થયું, ત્યારે તેમના ચાહકોના ભાવજગતમાં સન્નાટો છવાઇ ગયો! તેમના જીવનના દસમા દાયકામાં હંગલદાદાનું નિધન થયું હોઇ એ પાકી વયનું પાન ખરવાની પ્રક્રિયા જ કહેવાય. વળી, થાપાના ફ્રેક્ચરને કારણે એ છેલ્લા કેટલાક સમયથી પીડા ભોગવી રહ્યા હતા અને રઝા મુરાદના શબ્દોમાં કહીએ તો, તેમની મુક્તિ થઇ એમ પણ કહી શકાય.

આપણે ત્યાં આવા મૃત્યુ પ્રસંગે કહેવાતું હોય છે કે ઉંમર ગમે એટલી થઇ હોય, પણ ફાધર એ ફાધર હોય છે. તેમની છત્રછાયા હોય એનો પણ ફરક પડે. એમ હંગલદાદાની ઉપસ્થિતિ ફિલ્મ ઉદ્યોગમાં એક વડીલની હાજરીનું પ્રમાણ હતી. વળી વડીલ એવા કે એ ઉંમરે પણ પોતાની સ્મરણ શક્તિથી કડેધડે હતા. ૯૫ વરસની ઉંમરે તેમણે ટીવી સિરીયલ ‘મધુબાલા....” માટે કરેલા શુટિંગની ક્લીપ જુઓ તો કેમેરા ઓન થતાં જ તેમના ભાગે આવેલા સંવાદ કશી મદદ વગર પૂરા અભિનય સાથે ભજવી શક્યા હતા. એ રંગમંચની વર્ષોની સાધનાનું પરિણામ હતું; જેના ઉપર એ દાયકાઓ સુધી સક્રિય રહ્યા હતા. તેથી પહેલા જ ટેઇકમાં પરફેક્ટ શોટ આપી શકતા.

‘શોલે’ના જે સીનથી તેમની આટલી ખ્યાતિ થઇ એ દ્રશ્યના શુટિંગ પછી તેમને સંતોષ નહતો થયો! તે વખતે એ દેવ આનંદની ફિલ્મ ‘ઇશ્ક ઇશ્ક ઇશ્ક’ના શુટિંગમાંથી નેપાલથી ખાસ આવ્યા હતા. દેવ સાહેબે તેમને માટે હેલીકોપ્ટરની વ્યવસ્થા કરી હતી. એ સીનનું ફિલ્માંકન થયું ત્યારે સેટ પર હાજર એવા ‘શોલે’ના ડીસ્ટ્રીબ્યુટર રાજશ્રીવાળા તારાચંદ બરજાત્યા સહિત સૌએ  ખુશ થઇ પ્રશંસા કરી. પરંતુ, હંગલ સાહેબ હજી સંતુષ્ટ નહતા. તેમને એ સીન ફરી કરવો હતો. રમેશ સિપ્પીએ રિશુટની સંમતિ આપી. પરંતુ, રાત્રે જ્યારે એ શુટના રશીસ જોયા અને સંતોષ થયો ત્યારે બીજા દિવસે પુનઃ શોટ આપવાની પોતાની જીદ છોડી.

એ દ્રશ્ય વિશે લખતાં હું કાયમ કહું છું કે સીન કોઇ નાનો કે મોટો હોતો નથી.... આર્ટીસ્ટ જ નાના અથવા મોટા હોય છે! કેટલાંય હીરો- હીરોઇનને પિક્ચરની દર ત્રીજી ફ્રેમમાં જોયા પછી પણ એક્ટીંગ યાદ રહી જાય એવો ક્યાં કશોય ભલીવાર હોય છે? એ.કે. હંગલ એ જ રીતે ‘દીવાર’માં પણ એક સીન માટે જ આવે છે. પણ પોતાના દીકરાએ કરેલી એક બ્રેડની મામૂલી ચોરીનો બચાવ કરવાને બદલે અથવા તો પોલીસને ભાંડવાને બદલે એ કહે છે, “ચોરી તો હર હાલ મેં ચોરી હૈ, ભૈ. ચાહે વો એક પૈસે કી હો યા લાખ રૂપિયે કી!”

બસ. આટલો એક જ સીન અને જુઓ તમને એ કેવા હલબલાવી દે છે. ‘દીવાર’ યાદ કરો અને શશિકપૂરને પોતાના મોટાભાઇ (અમિતાભ) વિરુધ્ધ એક્શન લેવાનું નક્કી કરાવતો પાઠ પરોક્ષ રીતે ભણાવતા રીટાયર્ડ મ્યુનિસિપલ શિક્ષક એવા હંગલ સાહેબને ભૂલી ના શકો! શશિકપૂર કહે છેને “ઇતની બડી શિક્ષા એક ટીચર કે ઘર સે હી મિલ સકતી થી.” 

એવો એક અન્ય સીન ‘આંધી’માં છે. જ્યારે સુચિત્રાસેનને નાનપણથી ઉછેરનાર ‘બ્રિન્દાકાકા’ તરીકે એ પોતાને ‘નોકર’ ગણવા બદલ 
દીકરીને હ્રદયની વ્યથા વ્યક્ત કરતાં અકળામણમાં કહે છે, “નૌકર તો મૈં ભી નહીં હું, બેટા.... મુઝે ઇસ ઘર સે નિકાલને કા દમ નહીં હૈ તુમ મેં...” ગુલઝારના સેન્સીટીવ સંવાદ અને શું સંવેદનશીલ ડાયલોગ ડિલીવરી છે એ સીનમાં! ઓડિયન્સમાં કોઇ આંખ કોરી ના રહી શકે.

ગુલઝાર, ઋષિકેશ મુકરજી, બાસુ ચેટરજી વગેરે જેવા, એક સમયે ‘મિડલ સિનેમા’ કહેવાતાં પિક્ચરોના સર્જકોના હંગલ અનિવાર્ય અંગ જેવા હતા. કોમર્શીયલ ફિલ્મોએ પછી તેમને સ્વીકાર્યા. કોઇએ એ માર્ક કર્યું કે તે અમિતાભની પ્રથમ ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’માં પણ હતા અને જયા ભાદુડીની પહેલી કૃતિ ‘ગુડ્ડી’માં પણ હતા. ઋષિદાની ‘અભિમાન’માં તે જયાજીના પિતાની ભૂમિકામાં હતા. (જ્યારે છેલ્લા દિવસોમાં તેમની આર્થિક સ્થિતિને કારણે હોસ્પીટલના ખર્ચા ભરવાની મુશ્કેલીના સમાચાર મિડીયામાં આવ્યા, ત્યારે જયા બચ્ચને જાહેરમાં કહ્યું હતું કે તેમની દીકરી છે હજુ અને તેને ખબર નહતી. હવે પૈસાની ચિંતા હંગલ સાહેબ ના કરે. બચ્ચન પરિવાર તે ખર્ચ ઉઠાવશે.)

તો ‘નમક હરામ’માં યુનિયન લીડર ‘બિપનલાલ’ બન્યા હતા. ફિલ્મોમાં તેમની એન્ટ્રી જ મોડી થઇ હતી. જો કે ‘ઇપ્ટા’નાં નાટકોમાં એ વર્ષોથી વ્યસ્ત હતા. રંગમંચની દુનિયામાંથી તે દિવસોમાં આવેલા ઉત્પલદત્ત, કાદરખાન અને અમરીશપુરી જેવા મોટી ઉંમરના કલાકારોમાં ઉંમરની રીતે હંગલ સાહેબ સૌથી સિનીયર હતા. તેમની પર્સનાલીટી જોતાં ફિલ્મોમાં તેમને મોટેભાગે સહાનુભૂતિ સભર પોઝીટીવ પાત્રો જ ભજવવા મળ્યાં હતા. મોટેભાગે ગરીબડા બનતા હંગલને રંગીલા પ્રૌઢની ભૂમિકામાં  ‘શૌકીન’માં જોનાર સૌને પાઇપ પીતા સિનીયર એવા આ કલાકારના સુટ પણ ધ્યાન ખેંચે એવા લાગ્યા હતા. જો કે એ રોલ માટે દિગ્દર્શક બાસુ ચેટરજી મદનપુરીને લેવા માગતા હતા.

પરંતુ, નિર્માતાએ એ.કે. હંગલનો આગ્રહ રાખ્યો હતો. ‘શૌકીન’ના પાત્રની માફક જ એ કપડાંની બાબતમાં બહુ ચોક્કસ હતા. કેમ કે એક્ટર હોવા ઉપરાંત પૂર્વાશ્રમમાં એ ટેલર પણ હતા. દરજીકામ જો કે તેમના ખાનદાનમાં કદી કોઇએ કર્યું નહતું. કેમ કે જન્મે એ કાશ્મીરી પંડિત હતા. તેમના દાદા પાકિસ્તાનના પેશાવર શહેરના આસિસ્ટન્ટ કમિશ્નર હતા અને પિતાજી પણ સરકારી નોકરીમાં હતા. તેથી સ્વાભાવિક જ આ અવતાર કિશનને પણ રાજ્યના નોકર બનવાના એ પેઢીગત વ્યવસાયમાં જ જોતરવાનો વિચાર હોય. 

યુવાન અવતાર કિશન હંગલ (ફોટો સૌજન્ય: મીડ ડે)

પરંતુ, આ તો આઝાદ પંખી! અંગ્રેજોની ગુલામીમાંથી દેશ મુક્ત થાય તે માટે સરહદના ગાંધી અબ્દુલ ગફાર ખાનને પગલે ચાલવા માગતો યુવાન. તેમની લાલસેનાનો સૈનિક, જે અંગ્રેજી જુલમકારોના દંડા ખાઇને કપડાં લાલ થવા દે, પણ સામો હાથ ના ઉઠાવે. ઘરનાં કોઇને એ બધા છંદ પસંદ નહીં. તેથી મેટ્રીક પછી એ ઘેરથી ભાગીને દિલ્હી આવી ગયા. અહીં એ એક ટેલરીંગ ફર્મમાં કામ કરવા માંડ્યા અને દરજી બન્યા. હુન્નર શીખવાની ધગશ એવી કે ધીમે ધીમે એ ‘કટિંગ માસ્ટર’ પણ થઇ ગયા.
 


હવે તેમની ખ્યાતિ એવી થઇ કે પતિયાલાના મહારાજાના રજવાડી સુટ હોય કે પટૌડીના નવાબના નવાબી પહેરવેશ અથવા લોકસેવક દીનબંધુ એન્ડ્રુસનાં ખાદીનાં વસ્ત્રો સીવવાનાં હોય, સૌની એક જ પસંદ ‘માસ્ટર અવતાર કિશન’! દિલ્હીમાં એવું નામ થયા પછી એ પાછા પોતાને વતન પાકિસ્તાન આવી ગયા. કરાંચીમાં ટેલરીંગની શોપ ખોલી અને સાથે સાથે એ ‘કરાંચી ડ્રામા અને સિંગીંગ ક્લબ’ના સક્રિય સભ્ય પણ બન્યા, જ્યાં સાંજે રિહર્સલ કરવા જાય. નાટકો પણ કરે. પરંતુ, આ બધામાં તેમનો ઝોક ડાબેરી. આજીવન એ કોમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય રહ્યા. (જીવનના અંત સુધી તેમણે દર સાલ પોતાની સભ્ય ફી નિયમિત જમા કરાવી હતી.)

એ કરાંચીમાં હતા અને ૧૯૪૭ની ૧૪મી ઓગસ્ટે પાકિસ્તાન અલગ દેશ બન્યો. એ વિશેષ પ્રસંગની આગલી સાંજે સ્થાનિક કરાંચી રેડિયો પરથી તેમની લખેલી અને અભિનય કરેલી  સ્કીટ ‘બેકસ’ પ્રસારિત થઇ હતી. ત્યાં જ રહીને એ મુલ્કને પ્રગતિશીલ નીતિઓ ઉપર ચાલતો કરવાની ખ્વાહિશવાળા તે યુવાન હતા. પરંતુ, ધાર્મિક રાજ્ય તરીકે સ્થપાયેલા પાકિસ્તાનમાં બિનસાંપ્રદાયિકતાની ચળવળ કરનારા દ્રોહી ગણાયા. તેથી થઇ ધરપકડ અને જેલમાં સબડવા નાખ્યા.
કારાવાસ લગભગ ત્રણ વરસ સુધી  ભોગવ્યા પછી સરકારે ભારત જતા રહેવાનો વિકલ્પ આપ્યો. ત્યારે કરાંચીથી દરિયાઇ મુસાફરી કરીને મુંબઇ બંદરે ઉતર્યા અને ત્યારથી ભારતવાસી થયા. (એટલે તેમનો જન્મદિન ફેબ્રુઆરીમાં હોવા છતાં ભારત આવ્યા પછી મિત્રો સાથે તે ૧૫મી ઓગસ્ટને એ પોતાના નવા બર્થડે તરીકે મનાવતા. ૨૦૧૨નો જન્મદિન પણ મૃત્યુના દસેક દિવસ પહેલાં ૧૫મી ઓગસ્ટે ઇલા અરૂણ જેવાં તેમનાં ‘ઇપ્ટા’નાં સાથીદારે તેમની પાસે કેક કપાવીને મનાવ્યો હતો.)

ભારતવાસી થયા પછી પહેલીવાર પાકિસ્તાન એ અકસ્માત પહોંચી ગયા હતા. એ રશિયા ગયા હતા અને પરત આવતાં વિમાનમાં કોઇ ટેકનીકલ ખામી થતાં પ્લેન કરાંચી લેન્ડ કરવું પડ્યું હતું. ત્યારે ત્યાંના એરપોર્ટ પર મુસાફરો તો ઠીક સ્ટાફ પણ ઓટોગ્રાફ માટે ઘેરી વળ્યો હતો. તે દિવસ હંગલદાદાને બરાબર યાદ રહ્યો હતો. કેમ કે પાકિસ્તાનના વહીવટમાં ધાર્મિક નેતાઓની દખલગીરી જેમના સમયમાં સૌથી વધુ થઇ હતી એ સરમુખત્યાર ઝિયા ઉલ હક, તે જ દિવસે વિમાન તૂટી પડતાં મૃત્યુ પામ્યા હતા અને રાષ્ટ્રવ્યાપી શોક જાહેર થયેલો હતો.

કરાંચીથી પહેલીવાર સ્ટીમરમાં મુંબઇમાં આવ્યા, ત્યારે તેમને પહેલો આશરો આપ્યો તેમના જેવા જ એક સિંધી નિરાશ્રીતે સી.સી.આઇ. ક્લબ પાસે અને કામની રીતે જોડાયા ‘ઇન્ડીયન પિપલ્સ થિયેટર એસોસીએશન’માં. અહીં ‘ઇપ્ટા’માં બલરાજ સહાની અને કૈફી આઝમીથી માંડીને શૈલેન્દ્ર તથા સંજીવકુમાર જેવા ફિલ્મી દુનિયા સાથે સંકળાયેલા સૌ સાથે પરિચય વિકસતો ગયો. છેવટે શૈલેન્દ્રની બાસુ ભટ્ટાચાર્ય નિર્દેશિત ફિલ્મ ‘તીસરી કસમ’થી સિનેમાની દુનિયામાં પ્રવેશ થયો, જ્યારે હંગલની ઉંમર હતી ૫૦ વરસ!

છતાં નાટકની તાલીમ એવી કે રોલ નાનો હોય તો પણ તેમની એક્ટીંગની નોંધ લેવી જ પડે. રંગમંચ ઉપર તો તેમણે યાદશક્તિ એવી સરસ કેળવેલી કે ગમે એવા લાંબા ડાયલોગ હોય તેમને કદી પ્રોમ્પ્ટીંગની જરૂરત ના પડે. અંગત જીવનમાં પણ તેમના વિચારો એટલા ચોક્કસ ડાબેરી કે કોઇના કોઇ પ્રકારના ‘પ્રોમ્પ્ટીંગ’ની આવશ્યકતા જ ના રહે. ખાસ કરીને કોમી તોફાનો માટેના તેમના વિચારોમાં એ ખાસ્સા ડાબેરી હતા. તેથી જ્યારે એક વરસે ‘પાકિસ્તાન દિન’ની ઉજવણી વખતે પાકિસ્તાની કોન્સ્યુલેટની કચેરીમાં એ ગયા, ત્યારે મોટો વિવાદ થયો હતો. 

તેમની ફિલ્મોનો બહિષ્કાર જાહેર થયો હતો. તેમના સીન કાપીને તે ફિલ્મ બતાવવા માગતા કે ડરના માર્યા તેમને પોતાના નિર્માણાધિન પ્રોજેક્ટમાંથી પડતા મૂકવા તૈયાર થયેલા ભીરૂ નિર્માતાઓથી એ નારાજ થયા હતા. વરસ દહાડા પછી એવો ખુલાસો થયો કે બહિષ્કારનો એવો કોઇ ફતવો જ નહતો! ત્યારે ઘીના ઠામમાં ઘી પડી રહ્યું. વળી પાછા હંગલને સાઇન કરવા શરૂ થયા. પરંતુ, તેમના રાજકીય વિચારોને લીધે થયેલા આર્થિક નુકશાનને કદી શહીદીનો અંચળો ના ઓઢાડ્યો. બલ્કે પોતાની માન્યતાઓ માટે ચૂકવવાની કિંમત ગણી હતી. તેથી જીવનના અંત સુધી એ પદ્મભૂષણને એક રૂમના ટેનામેન્ટમાં ભાડે રહેવું પડ્યું!

એક ભાવપ્રવણ એક્ટર ઉપરાંત એક શિસ્તબધ્ધ, નિષ્ઠાવાન અને સમર્પિત વ્યક્તિ તરીકે પણ અવતાર કિશન હંગલ હમેશાં યાદ રહેશે. પોતાના મૃત્યુ વિશે ૨૦૦૩ના એક ઇન્ટર્વ્યુમાં એ.કે. હંગલે કહ્યું હતું કે, “મને વિચાર આવે છે કે હું કેવી રીતે મૃત્યુ પામીશ? હું સૂતો હોઉં અને ઉંઘમાં મારું મોત આવે તો સારું...” હકીકતમાં પણ તેમની બેહોશીમાં જ લાઇફ સપોર્ટ સિસ્ટમ કાઢી લીધા પછી દેહ છૂટ્યો હતો. તે પછી હંગલ સાહેબ દેહસ્વરૂપે રહ્યા નથી. પરંતુ, એ જ્યાં હશે ત્યાંથી ‘આંધી’ના ‘બ્રિન્દાકાકા’ની માફક કહેતા હશે કે “મુઝે અપની યાદોં સે નિકાલને કા દમ નહીં હૈ... તુમ મેં સે કિસી મેં ભી!!”


RIP A.K. HANGAL, Sir!




Thursday, August 23, 2012

ગુલઝારની ગંભીર નોંધ લેવાયાનું વરસ!





૧૯૬૯નું વરસ આમ તો  લક્ષ્મીકાન્ત પ્યારેલાલનું પણ કહી શકાય એવું હતું. તે વર્ષે તેમને ફિલ્મફેર એવોર્ડ જીને કી રાહમાટે મળ્યો હતો, જે ટીકાનું કારણ પણ બન્યો હતો. તે સાલ એસ.ડી. બર્મને આરાધના જેવું સુપર ડુપર આલ્બમ આપ્યા છતાં ફિલ્મફેર એવોર્ડ જીને કી રાહ માટે એલ.પી.’ને અપાતાં વિવાદ થયો હતો. એ સાચું કે તેમાં એક બન્જારા ગાયે...”, “ચંદા કો ઢૂંઢને તારે નીકલ પડે.....”, “આપ મુઝે અચ્છે લગને લગે...” અને સૌથી લોકપ્રિય એવું આને સે ઉસ કે આયે બહાર....બડી મસ્તાની હૈ, મેરી મેહબૂબા...” જેવાં ગીતો હતાં. પરંતુ,આરાધનાની રચનાઓ અને તેની લોકપ્રિયતા સામે એ કશું જ ના કહેવાય. એવોર્ડને લાયક તો નહીં જ.


એક વરસમાં સૌથી વધુ હીટ ગાયનો આપવાનો પુરસ્કાર આપવાનો હોત તો લક્ષ્મી-પ્યારેને ચોક્કસ મળી શક્યો હોત. કેમ કે તેમનાં ધરતી કહે પુકાર કે’, ‘સાજન’, ‘માધવી’, ‘જિગરી દોસ્ત’, ‘અન્જાના’, ‘વાપસજેવાં હીટ આલ્બમ હતાં. એ દરેકનાં એકાદ બબ્બે ગાયનો જ યાદ કરીએ તો પણ કેવો મધુરો વરસાદ થાય! જેમ કે  અન્જાનામાં રિમઝિમ કે ગીત સાવન ગાયે...” “કે જાન ચલી જાયે જિયા નહીં જાય...”, તો ધરતી કહે પુકાર કેનાં જે હમતુમ ચોરી સે બંધે ઇક ડોરી સે...”, “જા રે કારે બદરા, બલમા કે પાસ...” અને મુકેશનું ખુશી કી વો રાત આ ગઇ...”! તમે જિગરી દોસ્તનું રાત સુહાની જાગ રહી હૈ ધીરે ધીરે ચુપકે ચુપકે....” યાદ કરો કે પછી મેરી ભાભીજેવી અત્યારે સાવ અજાણી લાગતી ફિલ્મનું લતા મંગેશકરનું અનમોલ ગીત પવન ઝકોરા સંગ મેરે ગાયે...” સાંભળો ક્યાંય કચાશ ના લાગે. એ જ રીતે સાજન અને વાપસનાં ડ્યુએટ રેશમ કી ડોરી....” અને એક તેરા સાથ હમ કો દો જહાં સે પ્યારા હૈ...” એમ લીસ્ટ લંબાયે જ જશે અને તે માધવીના ક્લાસિકલ ભક્તિ ગીત સાંઝ સવેરે અધરોં પે મેરે બસ તેરા હી નામ...” સુધી પહોંચશે. વચમાં સાધુ ઔર શૈતાનનું નંદલાલ ગોપાલ દયા કર કે..” અને આંસુ બન ગયે ફૂલનું જાને કૈસા હૈ, મેરા દીવાના...” જેવું કિશોર લતાનું યુગલ ગીત વગેરે સંખ્યાબંધ ગાયનો તો ગણવાનાં અને ગણગણવાનાં બાકી રહે!
૧૯૬૯નું એ વરસ ગાંધીજીની જન્મ શતાબ્દીનું હતું અને તે દિવસોમાં સિનેમા સાંપ્રત જીવનનો કેવો ભાગ હતું તેનો દાખલો એટલે બાલક  ફિલ્મનું સુન લે બાપુ યે પૈગામ, મેરી ચિઠ્ઠી તેરે નામ...”!   ‘બાલક’ બની પડદા ઉપર આ કવિતા ગાતી બાળ કલાકાર સારિકા અને કમલહસનની દીકરી શ્રુતિ હસન પણ આજે તો બાળક નથી રહી! પરંતુ, દત્તારામના સંગીતમાં સુમન કલ્યાણપુરે ગાયેલી કવિવર ભરત વ્યાસની રચનાના આ શબ્દો આજે પણ કેટલા પ્રસ્તુત છે... કાલા ધન કાલા વ્યાપાર, રિશ્વત કા હૈ ગરમ બાજાર...
તેરે અનશન સત્યાગ્રહ કે બદલ ગયે અસલી બર્તાવ
”! 



તો સોનિક ઓમીની
બેટી ફિલ્મમાં મુકેશનું ગીત યે ક્યા કિયા રે દુનિયાવાલે...” અને એક નાની ફિલ્મ પૂજારિનમાં પણ મુકેશના સ્વરમાં એન.દત્તાની એક મધુર રચના મેરા પ્રેમ હિમાલય સે ઊંચા...” ૬૯ની જ દેન છે. તે સાલ મદન મોહને પણ ચિરાગમાં તેરી આંખોં કે સિવા દુનિયા મેં રખ્ખા ક્યા હૈ...” જેવા દીપ પ્રગટાવ્યા હતા.
જ્યારે રવિની ફિલ્મોમાં તે વરસે એક ફૂલ દો માલી (મન્નાડેના સ્વરમાં તુઝે સૂરજ કહું યા ચન્દા....”), અનમોલ મોતી(મહેન્દ્રકપૂરનું અય જાને ચમન તેરા ગોરા બદન...”) અને ડોલી’ (કિસ ને સાથ નિભાયા...) હતી. પરંતુ, ૧૯૬૯ હેમંતકુમારના મ્યુઝિકથી મઢેલી ખામોશીને લીધે પણ સ્મૃતિમાં જડાઇ ગયેલી છે. ખામોશીમાં ગુલઝારનાં ગીતોના શબ્દોએ તે સમયે એ નવા કવિની નોંધ લેવા સૌને મજબૂર કર્યા હતા. તેમના ઓફબીટ લવ સોંગહમને દેખી હૈ, ઉન આંખોં કી મહકતી ખુશ્બુ...” અને તેના અમર શબ્દો, સિર્ફ એહસાસ હૈ યે રૂહ સે મેહસુસ કરો, પ્યાર કો પ્યાર હી રહને દો કોઇ નામ ન દો...”

વળી, ફિલ્મનું નામ ટાઇટલ ગીતની પહેલી પંક્તિમાં જ આવી જાય (સાજન સાજન પુકારું ગલિયોં મેં...” કે પછી ડોલી ચઢ કે દુલ્હન સસુરાલ ચલી...”) એવી ફિલ્મી પરંપરાને તોડીને તેમણે ફિલ્મનું શિર્ષક ખામોશી અંતરામાં લખ્યું!

“પ્યાર કોઇ બોલ નહીં, પ્યાર આવાઝ નહીં,
એક ખામોશી હૈ સુનતી હૈ કહા કરતી હૈ,
ન યે બુઝતી હૈ,
ન રૂકતી હૈ, ન ઠહરી હૈ કહીં, 
નૂર કી બુન્દ હૈ સદીયોં સે બહા કરતી હૈ..”
પ્રેમની એ ફ્રેશ વ્યાખ્યા.... નૂર કી બુન્દ હૈ...” દિવ્ય તેજનું ટીપું! ક્યા બ્બાત... ક્યા બ્બાત!!
 

એવો જ એક પ્રયોગ તેમણે કિશોરકુમારે ગાયેલા ગીત વો શામ કુછ અજીબ થી, યે શામ ભી અજીબ હૈ...”માં કરી બતાવ્યો હતો. તેમાં બન્ને અંતરામાં એક જ સરખા શબ્દો ઉપયોગમાં લઇને કવિતા કરી હતી. (પહેલા અંતરામાં કહે છે,ઝૂકી હુઇ નિગાહ મેં, કહીં મેરા ખયાલ હૈ...” અને બીજામાં લખ્યું મેરા ખયાલ હૈ અભી ઝૂકી હુઇ નિગાહ મેં...”!)
તો તુમ પુકાર લો...” પણ હેમંતદા જે ઘેઘૂર અવાજે તે ગાય છે અને સાથે વ્હીસલનો સરસ ઉપયોગ કરે છે, તેને લીધે આજે પણ એ અવિસ્મરણીય  છે... ’૬૯ના મ્યુઝિકની જેમ જ

 એક આડવાત: જે દિવસોમાં રાજેશખન્નાની ખામોશી’, ‘આરાધના’, ‘ડોલી’, ‘ઇત્તેફાક’, ‘દો રાસ્તે ચાલતી હતી તે જ વર્ષે સાત હિન્દુસ્તાની આવી હતી જેનાં ૭ મુખ્યપાત્રો પૈકીના એક અમિતાભ હતા. સોચો ઠાકુર!

Sunday, August 19, 2012

‘ઔસમ કા મૌસમ’.... નુસરત ફતેહઅલી ખાન!

ઇદ મુબારક !!

'ઇદ મુબારક' કહેવાનું હોત કે નહીં પણ આજે નુસરત ફતેહ અલી ખાનની આ કવ્વાલી અહીં  મૂકવાનું નક્કી હતું. ઇદ એ માત્ર ઇત્તફાક છે. કેમ કે મધ્ય ઓગસ્ટમાં
નુસરતજીની પૂણ્યતિથિ આવે. આ એક એવા કલાકાર છે, જે તોફાની દરિયાનાં ઉછળતાં મોજાંની જેમ અવાજને નવી નવી ઊંચાઇઓ બક્ષતા હતા. તેમની ગાયકી માટે ‘ઓસમ’ (Awesome) સિવાય કશું જ વિશેષણ ના વાપરી શકાય. અહીં મૂકેલી એક કવ્વાલી “યે જો હલ્કા હલ્કા સુરુર હૈ....” એક કરતાં વધુ પ્રસંગોએ ઉસ્તાદજીએ ગાયેલી  યુ ટ્યુબ ઉપર ઉપલબ્ધ છે.

‘સ્વરમાં ઇશ્વરની આરાધના’ છે, એ અનુભવ ખાનસાહેબને સાંભળતાં કાયમ  થાય. નુસરત ફતેહ અલી ખાન પંદર વરસ પહેલાં ૧૯૯૭માં ૧૬મી ઓગસ્ટે જન્નતનશીન થયા, ત્યારે એ મહાકલાકારની ઉંમર ફક્ત ૪૮ જ વરસની હતી. પણ સાવ એટલી નાની જિંદગીમાં તે એવું વિશાળ બોડી ઓફ વર્ક મૂકી ગયા છે કે ગમે તે રચના ગમે ત્યાંથી સાંભળો, એ અવાજની બુલંદી અને ગાયકીની બારીકીઓ તમને અભિભૂત કર્યા વિના ના જ રહે. ઘણા વિડીયોમાં આજના લોકપ્રિય ગાયક રાહત ફતેહ અલી ખાંને તમે તેમની સાથે સંગત કરતા જોઇ શકો. ૧૯૮૫ના એક વિડીયોમાં તો દસ જ વરસની ઉંમરે રાહત સ્ટેજ પર ગાતા જોવા મળે છે.


અહીં મૂકેલો વિડીયો ક્રિકેટર ઇમરાનખાનની કેન્સર હોસ્પીટલના ફંડ માટે લંડનમાં યોજાયેલા એક સમારંભનો છે. તેમાં અમિતાભ બચ્ચન પણ ઉપસ્થિત હતા. આ કવ્વાલી “યે જો હલ્કા હલ્કા સુરુર હૈ....”  આખી સાંભળવા માટે ઘણો લાંબો સમય જોઇએ. આ માત્ર આચમનીભર છે. વળી આ લંડનનું ફાઇવ સ્ટાર ઓડિયન્સ છે. તેથી દાદ દેવામાં ખાસ્સું નિયંત્રિત છે. પણ એ જ્યાં ગાય અને જે કોઇ કવ્વાલી ગાય તેમની  સુર અને સરગમ પરની પકડ માણવા જેવી જ હોય છે. પણ અહીં  છેલ્લે તેમની સાથે
ત્યારના યુવાન રાહત ફતેહઅલી ખાં સા’બે આલાપથી કરેલી સંગત એ ક્લાઇમેક્સ છે.



ભણતી વખતે કવ્વાલીઓ સાંભળવા વડોદરા પ્રિન્સ ટોકીઝના ખાંચાથી શરૂ કરીને આણંદમાં સેટલ થયા પછી ખેડા જિલ્લામાં તો રાવલી હોય, ભાલેજ કે ઠેઠ બાલાસિનોર સુધી જવામાં કદી ખચકાટ નહતો થતો. રાત્રે બે ત્રણ વાગે  છુટ્યા પછી પાછા આણંદ આવવાનું થાય તો ભલે. યુસુફ આઝાદ, ઇસ્માઇલ આઝાદ, શંકર શંભુ, રશીદા ખાતૂન એ બધાં જાણીતાં નામો અને તે સિવાય પણ કેટલાય અજાણ્યા કલાકારોની  કેટલી બધી કવ્વાલીઓ સાંભળી હશે, જેનો હિસાબ નથી. તાર સપ્તકમાં ગાવાનું પણ કવ્વાલોમાં સામાન્ય હોય છે. પરંતુ, નુસરત ફતેહ અલી ખાં સાહેબની ગાયકી  એક અલગ જ લેવલ  પર હોય છે. આજે મઝા એ છે કે ‘યુ ટ્યુબ’ ઉપર માત્ર ક્લીક કરવાથી  વિશ્વના શ્રેષ્ઠ કવ્વાલી  ગાયક્ને  ટોરન્ટોમાં ઘેર બેઠા જોઇ - સાંભળી શકાય છે..... રાવલી કે નાવલી ક્યાંય જવાની જરૂર રહેતી નથી!

 
મારો દીકરો સની તો વળી જેફ બક્લી નામના  અમેરિકન ગિટારિસ્ટે ગાયેલી આ જ  રચના “યે જો હલ્કા હલ્કા સુરુર હૈ....” બ્લોગ ઉપર મૂકાવવા આતુર છે. જેફ ૧૯૯૭ના મે માસમાં ઉસ્તાદજી કરતાં ત્રણેક માસ અગાઉ ૩૧ જ વર્ષની ઉંમરે અવસાન પામેલા આર્ટીસ્ટ અને તેમને ઉર્દૂ-હિન્દીનો કોઇ પરિચય નહીં, છતાં નુસરત સાહેબને એટલા આત્મસાત કરી લીધેલા કે યુ ટ્યુબ પર એ પણ સાંભળી શકાય છે.

તેથી આજે “પપ્પા, તમે ‘ઔસમ કા મૌસમ’માં નુસરત ફતેહ અલી ખાં સાહેબની કોઇ રચના મૂકોને?” એવી સનીની કાયમી ફરમાઇશની પણ આ સાથે પૂર્તતા કરું છું. અહીં મૂકેલા તમામ વિડીયો અમને તો Awesome જ લાગે છે...... શાસ્ત્રીય સંગીત કે ઉર્દૂની એટલી ગહન સમજ ન હોવા છતાં! તમને ઇચ્છા થાય તો આ અનોખી મહેફિલમાં સામેલ થજો.... દરેક ક્લીપ આખી પતે ત્યારે ગાયકીના એક અદભૂત અનુભવમાંથી પસાર થયાની ગેરન્ટી! 

આ પહેલા વિડીયોમાં ગાયકીમાં ખોવાઇ જતા નુસરત સાહેબને  ગાતા સાંભળવા જેટલા જ  સ્વર સપ્તકની તાન લેતા જોવા એ પણ જીવનનો એક લહાવો છે, જેને તેમાં મઝા પડતી હોય એવા સૌને માટે ..... આ વિડીયો વિશ્વના દસ લાખ (મિલીયન)થી વધુ લોકોએ જોયો છે એ જ તેમની  એ વિશીષ્ટ ગાયકીની લોકપ્રિયતા બતાવે છે.... Enjoy! 


અને આ છે જેફ બક્લીનો સાઉન્ડ ટ્રેક.... ઇંગ્લીશમાં ઉર્દૂ કેવી રીતે ગવાય તેનો દાખલો અને ખાસ તો સંગીતના કોઇ કલાકાર માટેના અહોભાવને વ્યક્ત કરવામાં ભાષા કદી અંતરાય નથી થતી એનો પણ ઉત્તમ નમૂનો!

Saturday, August 18, 2012

''ઓ ફિલ્મી કવિ, તુઝે સલામ!"





૧૫ મી ઓગસ્ટ  કે ૨૬ મી જાન્યુઆરી આવે ત્યારે પણ કદી આપણે એ વિચારીએ છીએ કે આપણી રાષ્ટ્રભક્તિને  જાગૃત કરવામાં ફિલ્મી ગીતો કેટલો મોટો ભાગ ભજવે છે? ક્યારેય પણ ફિલ્મી ગીતકારોને આપણે એવું સન્માન આપી શક્યા છીએ જેના તેઓ હક્કદાર છે? 'કાબુલીવાલા' ના ''અય મેરે પ્યારે વતન, અય મેરે બિછડે ચમન, તુઝ પે દિલ કુરબાન...'' માંની પંક્તિઓ ''તેરે દામન સે જો આયે ઉન હવાઓ કો સલામ, ચુમ લુ મૈં ઉસ જુબાં કો જિસ પે આયે તેરા નામ...’' સાંભળતા વતનથી દુર વસતા  સંવેદનશીલ ભાવકની આંખ ભીની થઇ જ જાય. પણ મન્ના ડેએ ગાયેલા તે  ગીતના રચયિતા કવિ પ્રેમ ધવનને  કેટલા શ્રોતાઓ યાદ કરતા હશે?

પ્રેમ ધવને જ મનોજ કુમારની 'શહીદ'ના ગીતો પણ લખ્યા હતા. 'શહીદ'ની સ્મૃતિ તાજી થતાં જ '' મેરા રંગ દે બસંતી ચોલા....',  'અય વતન, અય વતન, હમ કો તેરી કસમ, તેરી રાહો મેં જાં તક લૂટા જાયેંગે, ફૂલ ક્યા ચીઝ હૈ, તેરે કદમો પે હમ, ભેટ અપને સરો કી ચઢા જાયેંગે.....' અને ''પઘડી સંભાલ જત્તા......'' જેવાં ગીતો પણ દિલના દરવાજે દસ્તક દેવા માંડે. એ જ પ્રેમ ધવને 'હમ હિન્દુસ્તાની'નું ટાઈટલ ગીત  ''છોડો કલ કી બાતે, કલ કી બાત પુરાની, નયે દૌર મેં લિખેંગે મિલકર નઈ કહાની, હમ હિન્દુસ્તાની...'' લખ્યું હતું એ વાતની મુકેશની સાથે સાથે એ ગાયન ગાતા કેટલા રસિકજનોને ખબર હશે?

કે પછી 'જહાં ડાલ ડાલ પર સોને કી ચીડિયા કરતી હૈ બસેરા વો ભારત દેશ હૈ મેરા....'' 'સિકંદરે આઝમ'નું ગૌરવવંતુ ગાન કવિવર રાજેન્દ્ર કૃષ્ણની રચના છે એ વિગત પણ કેટલા જાણતા હશે? અથવા વધારે યોગ્ય રીતે કહેવું હોય તો એમ પણ કહી શકાય કે કેટલા એ વાતની દરકાર કરતા હશે?  અરે, જૂના ગીતો છોડો (છોડો કલ કી બાતે, કલ કી બાત પુરાની!) પણ આજના સમયમાં એ. આર. રહેમાને  બંકિમચંદ્રએ લખેલા બંગાળીને  આપણા રાષ્ટ્રીય ગાન 'વંદે માતરમ' ને  હિન્દીમાં ''ઓ માં તુઝે સલામ...'' એમ કહીને કેટલું  સુંદર ગાયું છે? પણ સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન જે નારા ઉપર દેશના અસંખ્ય દૂધમલ જવાનો ફના થઇ ગયા  હતા એ સૂત્ર અને એ સમગ્ર ગીતની  એટલી અદ્ભુત હિન્દી આવૃત્તિ લખનાર આજના શાયર મેહબૂબ છે એ જાણવાની પણ કાળજી કેટલા રાખતા હશે?
રાષ્ટ્રકવિ પ્રદીપજી
એ જ રીતે ૧૫ મી ઓગસ્ટ અને ૨૬ મી જાન્યુઆરી એ લાઉડ સ્પીકર ઉપર થી દરેક  ગલી મહોલ્લા કે શમિયાણા અને રેડિયો સ્ટેશન ઉપરથી અચૂક વાગતા પ્રદીપજીના ગીત 'અય મેરે વતન કે લોગો જરા આંખ મેં ભર લો પાની, જો શહીદ હુએ હૈ ઉનકી જરા યાદ કરો કુરબાની...' એ આપણી રાષ્ટ્રીય ચેતનાને પુન: જાગૃત કરવામાં આપેલા ફાળાની નવી પેઢીનાં કેટલાં જુવાનિયાંને ખબર હશે? ચીન સાથે  લડાઈ ૧૯૬૨માં  થઇ અને વરસો પુરાણી થ્રી નોટ થ્રીની બંદુકો જેવી શસ્ત્ર સામગ્રી સાથે લડવા મોકલેલા આપણા  લશ્કરને ધાણી ફૂટતી હોય એમ ગોળીઓની બૌછાર  કરતી આધુનિક સ્ટેનગન અને કચડી નાખનારી ટેન્કો સામે ટકવું મુશ્કેલ થયું હતું.  કોઈ મોટો દેશ હુમલો નહિ કરે એવી શાંતિપ્રિય માનસિકતાને કારણે રાખેલા તદ્દન મામુલી બજેટને લીધે શહીદ અને ઘાયલ  જવાનોના પરિવારો માટે  નાણાંની નવેસરથી વ્યવસ્થા  કરવાની હતી.એટલે 'સૈનિક ફાળો'  પણ ઉઘરાવવાનો થયો હતો.

 
પ્રદીપજી, લતા મંગેશકર અને સંગીતકાર સી. રામચન્દ્ર

એવા માહૌલમાં પ્રદીપજીએ લખ્યું આ અમર ગીત... 'અય મેરે વતન કે લોગો જરા આંખ મેં ભર લો પાની, જો શહીદ હુએ હૈ ઉનકી જરા યાદ કરો કુરબાની...'  અને લાલ કિલ્લા ઉપરથી લતાજીએ સી. રામચંદ્રના સંગીત નિર્દેશનમાં પહેલી વાર ગાયું, ત્યારે જવાહરલાલ નેહરુ સહીત સૌની આંખોમાંથી નિરંતર અશ્રુધારા વહી. પછી તો દેશ આખાએ પણ વીરોની શહિદી ઉપર આંસુ વહાવ્યા અને સૌએ જાણ્યું કે 'દસ દસ કો એક ને  મારા...' અને  'જબ દેશ મેં થી દિવાલી, વો ખેલ રહે થે હોલી, જબ હમ બૈઠે થે ઘરો મેં, વો ઝેલ રહે થે ગોલી...'!


સૌ જાણતા હોય છે કે સૈનિકો કે કોઈપણ પ્રકારે આપણી સલામતી વ્યવસ્થામાં  વ્યસ્ત એવા સુરક્ષાકર્મીઓ કેવી રીતે કાર્ય કરતા હોય છે.... પછી એ સેના હોય, પોલીસ  કે પછી ફાયર બ્રિગેડના જવાનો હોય. પણ એ હકીકતને એટલી ચોટદાર રીતે કાવ્યાત્મક રજૂઆતથી મુકવાનું પરિણામ એ આવ્યું  કે સમગ્ર રાષ્ટ્રની હતાશા ખંખેરાઈ ગઈ. લશ્કર પ્રત્યે જોવાનો દ્રષ્ટિકોણ વધારે હકારાત્મક થયો. આપણે માત્ર શસ્ત્ર સામગ્રીની રીતે અદ્યતન થવાની જરૂર છે અને જવાનોની શૂરવીરતા બેમિસાલ છે એ સંદેશો પહોંચાડવામાં પ્રદીપજીના શબ્દોએ ત્યારે આપેલા ફાળાનું ઋણ કદી ઉતરી શકે એવું છે? (પ્રદીપજીનાં ‘જાગૃતિ’ સહિતનાં ગીતો અને અહીં ના ઉલ્લેખાયાં હોય એવાં રાષ્ટ્ભક્તિનાં કોઇ ફિલ્મી ગાન તમે ઉમેરી શકો છો?)

ગુલશન બાવરા
 “અય મેરે વતન લોગોં...” જે યુધ્ધની પૃષ્ઠભૂમિમાં લખાયું હતું, તે ‘ચાયના વોર’ના બેકગ્રાઉન્ડમાં જ ‘હકીકત’ બન્યું હતું અને તેમાં કૈફી આઝમીએ લખ્યું “કર ચલે હમ ફિદા જાન-ઓ-તન સાથીયો, અબ તુમ્હારે હવાલે વતન સાથીયો...”! પણ દેશભક્તિના માહૌલમાં મનોજકુમારને અને ખાસ તો ‘ઉપકાર’ના ભારતકુમારને ના સંભારીએ તે કેમ ચાલે? તેનું સૌથી લોકપ્રિય ગીત એટલે ગુલશન બાવરાએ લખેલું “મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી...” કદાચ આ ગીત વિના કોઇ પણ સ્વાતંત્ર્ય સમારંભની ઉજવણી થતી નહીં હોય... પછી એ ઇન્ડીયામાં હોય કે અહીં પરદેશની ધરતી પર હોય. મનોજકુમારની ‘પૂરબ ઔર પશ્ચિમ’માં ઇન્દીવરની કલમેથી મળ્યું, “હૈ પ્રીત જહાં કી રીત સદા, મૈં ગીત વહાં કે ગાતા હૂં, ભારત કા રહનેવાલા હૂં ભારત કી બાત સુનાતા હૂં...” અને તેમાં જ એ કવિએ આપ્યું એક સરસ રૂપક ગીત.... “દુલ્હન ચલી, હો પહન ચલી તીન રંગ કી ચોલી...” તેમાં એક તબક્કે કહે છે, “દેશપ્રેમ હી આઝાદી કી દુલ્હનિયા કા વર હૈ...” ! (આજના ભારતમાં જો રાષ્ટ્રપ્રેમની કમી જણાતી હોય તો આઝાદી નામની દુલ્હનના વરરાજા વગર તેનું રક્ષણ કોણ કરશે એ ચિંતા થવી વ્યાજબી જ છેને?)

એ જ દુલ્હનને મનોજકુમારની તે પછીની એક ફિલ્મ ‘ક્રાન્તિ’માં “અબ કે બરસ તુઝે ધરતી કી રાની કર દેંગે...”નો આશાવાદ સંતોષ આનંદ કરાવે છે. દેખીતી રીતે જ ભારતને વિશ્વની ટોચની સત્તા બનાવવાનું એ સપનું હતું; જે તેના ભવ્ય ભૂતકાળની હકીકત હતી. તો ભારતીયતાની પ્રશંસા કરતાં સાહિર લુધિયાન્વીએ દિલીપકુમારની ‘નયાદૌર’માં કરાવી હતી; જ્યારે તેમણે લખ્યું, “યે દેશ હૈ વીર જવાનોં કા, અલબેલોં કા મસ્તાનોં કા, ઇસ દેશ કા યારોં ક્યા કેહના યે દેશ હૈ દુનિયા કા ગેહના...”

આનંદ બક્ષી
દિલીપકુમારની જ અન્ય એક ફિલ્મ ‘લીડર’માં શકીલ બદાયૂનિની કલમેથી મળ્યું એક એવું ગીત જેમાં ચેતવણી પણ હતી. એ ગીત “અપની આઝાદી કો હમ હરગીઝ મિટા સકતે નહીં, સર કટા સકતે હૈં લેકિન સર ઝૂકા સકતે નહીં..”માં એક તબક્કે એ કહે છે, “એક ધોખા ખા ચૂકે હૈં ઔર ખા સકતે નહીં...” (છતાં રાજકારણીઓની અણ આવડતને કારણે પાકિસ્તાન સાથે તે પછી ઠેઠ કારગીલ હુમલા સહિત કેટલીવાર આપણે ધોખા ખાધા અને એવા દરેક યુધ્ધમાં આપણા જવાનોની શૂરવીરતાને લીધે પાકિસ્તાન આપણા મારના ધોકાથી ધોવાયું!) દિલીપકુમારની જ અન્ય એક ફિલ્મ ‘કર્મા’માં આનંદ બક્ષીએ લખેલું ગીત “હર કરમ અપના કરેંગે, અય વતન તેરે લિયે, દિલ દિયા હૈ, જાં ભી દેંગે અય વતન તેરે લિયે...” બાબા રામદેવ તેમની શિબીરોમાં નિયમિત ગવડાવે છે. એ જ આનંદ બક્ષીએ ‘ફુલ બને અંગારે’માં લખ્યું, “વતન પે જો ફિદા હોગા, અમર વો નૌજવાં હોગા...” જ્યારે દેવ આનંદ જેવા ‘પ્રેમપૂજારી’ને હિન્દીના શ્રેષ્ઠતમ કવિ ગોપાલદાસ ‘નીરજ’ની આ કવિતા મળી, “તાકત વતન કી હમ સે હૈ, હિમ્મત વતન કી હમ સે હૈ, ઇન્સાન કે હમ રખવાલે...”

તાજેતરની ફિલ્મોમાં ‘ચક દે ઇન્ડીયા’ના ટાઇટલ ગીતમાં વાત ભલે હોકીની રમતની હતી. પરંતુ, પ્રત્યેક દેશવાસીને શુરાતન ચઢે એ રીતે સુખવિન્દરે છાતી ફાડીને ગાયું હતું. એ જ રીતે શહીદ ભગતસિંગના જીવન પરથી બનેલી  બન્ને ફિલ્મોમાં પણ રાષ્ટ્રભક્તિનાં ગીતો હતાં જ. જેમ કે ‘ધી લીજેન્ડ ઓફ ભગતસિંગ’માં સમીરનું લખેલું “દેસ મેરે...” અને “૨૩ માર્ચ ૧૯૩૧ શહીદ’ માટે દેવ કોહલીનું “સાંસ હૈ જબ તલક અય વતન...” જેવાં ગીતો મળે છે, ખરાં.

એમ તો ‘રંગ દે બસંતી’ નામનું આમિરખાનનું પિક્ચર પણ આવ્યું. પરંતુ, એકંદરે હવેનાં ચિત્રોમાં મોટેભાગે તો ‘ભારત’ને બદલે ‘ઇન્ડીયા’ બતાવવાના અને તે પણ ઉપલકીયા જ પ્રયત્ન  હોય છે. હવેના સર્જકો મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ જોવા જનાર શહેરી યંગસ્ટર્સને તથા ઓવરસીઝ સેટલ થયેલા એન આર આઇની યંગ જનરેશનનને ધ્યાનમાં રાખીને પિક્ચરો બનાવતા હોઇ જો કોઇ શહીદ થયું હોય તો તે રાષ્ટ્રભક્તિ! હવેના નિર્માતાઓ કદાચ “અય મેરે વતન કે લોગોં...” જેવું કોઇ દેશના લોકો માટેનું ગીત લખાવવાને બદલે પોતાના બેનરના ‘લોગો’ની માર્કેટવેલ્યુ વધાર્યા કરતા નથી લાગતા? સોચો ઠાકુર!! 
જય હિન્દ.....જય હિન્દ.....જય હિન્દ કી સેના!!

Monday, August 13, 2012

૧૯૬૯: કર્ણપ્રિય સંગીતથી છલોછલ વર્ષ!

સંગીતના ખજાનાનું વાર્ષિક સરવૈયું જ્યારે પણ જોવાય, ત્યારે ૧૯૬૯ની સાલને ‘આરાધના’ને કારણે એસ.ડી. બર્મન અને વધારે તો રાજેશ ખન્નાના વરસ તરીકે ગણાતું હોય છે. સુપર હીટ અર્થાત વેચાણની રીતે અત્યંત સફળ મ્યુઝિક ‘આરાધના’નું જરૂર હતું. પરંતુ, ’૬૯ના વરસને ઐતિહાસિક રીતે ચકાસીએ તો સમજાય કે તે સાલનો સમગ્ર ખજાનો પણ કર્ણપ્રિય સંગીતથી છલોછલ જ હતો. જેમ કે એક સમયના ‘નંબર વન’ શંકર જયકિશનની શમ્મી કપૂર સાથેની જોડીનું ‘પ્રિન્સ’ અને તેનું ધમાકેદાર “બદન પે સિતારે લપેટે હુએ...” અને  ‘તુમ સે અચ્છા કૌન હૈ’માં “જનમ જનમ કા સાથ હૈ, નિભાને કો...” રફીના અવાજમાં એ વર્ષે હતાં.


તો સંજીવકુમારના ‘ચંદા ઔર બિજલી’માં મન્નાડેનું “કાલ કા પહિયા ઘૂમે ભૈયા...” પણ ખરું, જેના શબ્દો માટે કવિ ‘નીરજ’ને શ્રેષ્ઠ ગીતકારનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. એ જ બેલડીએ ધર્મેન્દ્રના ‘યકીન’નું અમર ગીત “ગર તુમ ભૂલા ન દોગે, સપને યે સચ હી હોંગે, હમ તુમ જુદા ન હોંગે...” અને ‘પ્યાર હી પ્યાર’નું “મૈં કહીં કવિ ન બન જાઉં તેરે પ્યાર મેં અય કવિતા...” રફીના સ્વરમાં ’૬૯માં આપ્યાં હતાં. તેમણે જ રાજેન્દ્રકુમાર માટે ‘શતરંજ’માં “તુમ્હેં મૈં અગર અપના સાથી બનાલું....” આપ્યું હતું.

રાજેન્દ્રકુમારનું ‘સાથી’ તેની આગલી સાલ ’૬૮માં હતું, જેમાં નૌશાદ, મજરૂહ અને મુકેશની ત્રિપુટી ૨૦ વરસ પછી એકત્ર થયાની ઐતિહાસિક ઘટનાએ તે દિવસોમાં ખુબ અપેક્ષાઓ જગવી હતી અને મ્યુઝિક જ્યારે બજારમાં આવ્યું, ત્યારે એટલું જ લોકપ્રિય પણ થયું હતું. ૧૯૬૯નું આખું વરસ ઠેર ઠેર ખુબ વાગેલાં તેનાં ગાયનોમાં લતાજીનાં “યે કૌન આયા રોશન હો ગઇ મેહફિલ કિસ કે નામ સે...” અને “મેરે જીવન સાથી, કલી થી મૈં તો પ્યાસી...” જરૂર હતાં. પરંતુ, મેદાન મારી ગયું  હતું, મુકેશ સાથે સુમન કલ્યાણપુરે ગાયેલું ડ્યુએટ  “મેરા પ્યાર ભી તુ હૈ, યે બહાર ભી તુ હૈ...”! તે દિવસોમાં રેડિયો પર કે પછી પૈસા નાખીને ફરમાઇશ કરી શકાતા જ્યુક બોક્સમાં આ ગાયન અગણિત વખત વાગ્યું હશે.

એવું જ મુકેશનાં અન્ય બે ગાયનોનું તે વર્ષે કહી શકાય. એક તો કલ્યાણજી આણંદજીના ‘વિશ્વાસ’નું “ચાંદી કી દિવાર ન તોડી...” અને ‘સંબંધ’માં ઓ.પી.નૈયરે ગવડાવેલું “ચલ અકેલા ચલ અકેલા.... તેરા મેલા પીછે છુટા રાહી, ચલ અકેલા...”, જે બિનાકા ગીતમાલાની વાર્ષિક સ્પર્ધામાં ચોથા નંબરે વાગ્યું હતુ! જો કે ‘સંબંધ’માંના મહેન્દ્ર કપૂરના ગીત “અંધેરે મેં જો બૈઠે હૈં, નજર ઉન પર ભી કુછ ડાલો, અરે ઓ રોશની વાલોં....” ઉપર નજરમાં જ નહીં, કાન પર ધર્યા વગર પણ કેમ આગળ વધાય?

‘વિશ્વાસ’માં પણ એમ જુઓ તો  “મુસ્કુરા કે હમ કો લૂટા આપને...” અને “લે ચલ, લે ચલ મુઝે ઉસ દુનિયા મેં...” એ હેમલતા સાથેનું યુગલ ગીત જેવાં અન્ય ગાયનો પણ હતાં.  મુકેશ પાસે કલ્યાણજી આણંદજીએ તે વર્ષે ‘તમન્ના’નું કોમિક ગીત “તાશ કે બાવન પત્તે, પંજે છક્કે સત્તે...” પણ ગવડાવ્યું હતું. મુકેશનો અવાજ એ ગાયનમાં કોના પર હતો, જાણો છો? કદીક જ પડદે ગીત ગાતા કોમેડિયન અસિતસેન પર એ ગીત હતું અને તેમની સાથે આગા પણ હતા.

કલ્યાણજી આણંદજીના સંગીતમાં એક ઓર ગાયન ‘રાજાસાબ’નું “કિસી મેહરબાં કી નજર ઢૂંઢતે હૈં...” હતું. તે પડદા ઉપર શશિ કપૂર ગાય છે, ત્યારે એ મહંમદ રફીના સ્વરમાં છે. પરંતુ, એ જ ગાયન આપણા મનહર ઉધાસના કંઠમાં પણ રેકોર્ડ થયું હોવાની અને શુટિંગ એ જ અવાજમાં થયું હતું તથા મિક્સીંગ વખતે રફીનું વર્ઝન ઉપયોગમાં લેવાયું હોવાની વાતો ત્યારે હતી. મનહરભાઇ અને સુમન કલ્યાણપુર પાસે કલ્યાણજી આણંદજીએ “આપ સે હમ કો બિછડે હુએ, એક જમાના બીત ગયા...” તે સાલ ‘વિશ્વાસ’માં ગવડાવ્યું હતું.

એ જ શશી કપૂરના ‘પ્યાર કા મૌસમ’નાં આર.ડી. બર્મનનાં ગીતો “તુમ બિન જાઉં કહાં...” અને “ની સુલ્તાના રે, પ્યાર કા મૌસમ આયા...” રફીના અવાજમાં હતાં.  એ જ ‘પંચમ’ના મ્યુઝિક્ની તે દિવસોના નવા સ્ટાર જીતેન્દ્રના પિક્ચર ‘વારિસ’માં “કભી કભી ઐસા ભી તો, હોતા હૈ જિંદગી મેં...” તથા “એક બેચારા પ્યાર કા મારા....”થી ખાસ નોંધ લેવાઇ. કેમ કે એ સાઉથની ફિલ્મ હતી, જ્યાં શંકર જયકિશન, રવિ અને છેલ્લે છેલ્લે ‘મિલન’ (૧૯૬૭)થી લક્ષ્મીકાન્ત પ્યારેલાલને પિક્ચરો મળતાં હતાં.  

જો કે ‘વારિસ’નું સ્ટાર આકર્ષણ કોમેડિયન મહેમૂદ હતા. ફિલ્મની નવી નવી હીરોઇન હેમામાલિની સાથે મહેમૂદને ભાગે આવેલું એક ગાયન “કૌન હૈ વો કૌન મુઝે જિસને જગાયા, ધરતી પે આજ યમલોક સે બુલાયા...”  (આ લેખના અંતે મૂકેલા અને મહેમૂદને પણ તેમના અસલ રંગમાં બતાવતા વિડીયોમાં) જુઓ તો સમજાય કે હેમા આરંભના પિક્ચરમાં પણ જરૂર પડે ઝનૂનથી ડાન્સ કરવા ઉપરાંત એક્ટીંગ પણ કેવી સરસ કરતી. જ્યારે મહેમૂદ માટેના કોમેડી ગીતમાં આર.ડી.બર્મન પણ આગલા વરસના ‘પડોસન’ (૧૯૬૮)ની માફક જ કેવા જબરા ખીલ્યા હતા!  તેમના પિતાશ્રી સચિનદેવ બર્મને ‘આરાધના’થી મચાવેલી ધૂમમાં એ આલ્બમો કદાચ દબાઇ ગયાં હતાં. ૧૯૬૯ના હજી બાકી અદભૂત સંગીત ખજાનાની વાતો આવતા વખતે.