Saturday, July 25, 2015

ફિલમની ચિલમ જુલાઇ ૨૬, ૨૦૧૫



‘બજરંગી ભાઇજાન’ સલમાનખાનની
                   
                સોનાની થાળીમાં ‘શોભા’ની મેખ!


સચિન તેન્દુલકર અને વિનોદ કાંબલી જેવી ભાગીદારી ભારતીય સિનેમાના બિઝનેસમાં અત્યારે ચાલી રહી છે! પીચના એક છેડે સલમાન ખાનની ‘બજરંગી ભાઇજાન’એ ધુંઆધાર શરૂઆત કરી અને બીજા એન્ડ પર ‘બાહુબલી’ની નિરંતર ફટકાબાજી હજી ચાલે છે. પરિણામે બેઉએ પોતપોતાની બેવડી સદી નોંધાવી દીધી છે. બન્ને પિક્ચરે ભૂતકાળના કયા કયા વિક્રમ તોડ્યા, તેનું વિવરણ અને તેના વિવાદો તો ચાલ્યા જ કરવાના. પરંતુ, એક વાત નક્કી છે કે આ પ્રમાણે સલ્લીંગ (એટલે કે સળંગ) બે સપ્તાહમાં ૨૦૦ કરોડનો બિઝનેસ આપનારી બે ફિલ્મો આવે એ એક નિર્વિવાદ રેકોર્ડ છે અને તેથી ઍટલીસ્ટ સિનેમાના ધંધામાં તો ‘અચ્છે દિન આ ગયે’ એમ કહી શકાય! પરંતુ, ચારે બાજુ ચાલતા આ ઉજવણીના દૂધપાકમાં લીંબુના રસનાં થોડાંક ટીપાં દદડાવે એવો શોભા ડેનો રિવ્યૂ આવતાં પિક્ચર બાજુ પર રહી જાય અને સલમાનના ‘હીટ એન્ડ રન’ કેસની ચર્ચા થવા માંડે એવો ઘાટ થયો છે.


શોભા ડે તેમની ધારદાર કલમ માટે જાણીતાં છે અને તેમણે પોતાની કોલમમાં સવાલ કર્યો છે કે શું આ ફિલ્મ સલમાનને એક સજ્જન, પરોપકારી, લાગણીશીલ વ્યક્તિ તરીકે ચિતરવા ખાસ બનાવાઇ છે? તેમણે એ પિક્ચરને માલપુડાની ચાસણી જેવું ગળ્યું કહ્યું છે અને પોતાને ડાયાબીટિસ નથી, નહીંતર ઇન્સ્યૂલિનનું એક ઇન્જેક્શન લેવું પડ્યું હોત એમ પણ મજાકમાં ઉમેર્યું છે. પરંતુ, શોભા ડે પોતાની વાત માત્ર ગમ્મત કરવા કહે કે? તેમણે લખ્યું છે કે મને તો મનમાં થયું કે એકાદો શો સલમાનના હીટ એન્ડ રન કેસને સંભાળનારા પોલીસ અધિકારીઓ અને ન્યાયાધીશો માટે પણ યોજી શકાય. કરવું તો બધું કેમ ના કરવું? તેમણે ફિલ્મની પેટા-વાર્તા (સબ ટેક્સ્ટ) સલમાનને એવા હીરો તરીકે પ્રોજેક્ટ કરતી હોવાની ગણાવી છે, કે જે કદી જુઠું ન બોલે, જે એટલો દયાળુ હોય કે નાનકડા ફુદાને પણ ના મારે! આ સબ ટેક્સ્ટને લીધે પિક્ચર એક સારા ડિટરજન્ટની જાહેરાત જેવું બન્યું છે, એમ કહેતાં લેખિકાએ પોતાના પીસને અંતે જે પાર્ટિંગ શૉટ માર્યો છે તે આખા લેખના સાર જેવો છે. શોભાજી લખે છે, મોટાભાગના સલમાન-ભક્તો ચિંતાભર્યા એક પ્રશ્ન સાથે બહાર આવતા હતા: શું શાંતિ અને પ્રેમના દૂત તરીકેનો આ યોગ્ય સમયે કરેલો પરફોર્મન્સ તેમને (સલમાનને) જેલની બહાર રાખશે ખરો?? (બે પ્રશ્નાર્થ ચિન્હો લેખિકાએ લેખના અંતે મૂક્યાં હોઇ, અહીં એ જ રિપીટ કર્યાં છે. શું એ સવાલની ગંભીરતા સ્થાપિત કરતાં હશે?) 
‘બજરંગી ભાઇજાન’ ફિલ્મની સાથે સાથે એવા ન્યૂઝ પણ વહેતા થયા છે કે એ પિક્ચરમાંથી પોતાને ભાગે આવનારો નફો સલમાન આત્મહત્યા કરનારા ખેડૂતોના પરિવારોના કલ્યાણ માટે દાન કરશે. 



ખેડૂતોના કલ્યાણ માટેની ગણાનારી સરકારી ચેનલ ‘ડીડી કિસાન’ને પ્રમોટ કરવા માટે અમિતાભ બચ્ચનને આપવાના ૬ કરોડને ૩૧ લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ પણ ગયા સપ્તાહે જ વિવાદોમાં આવ્યો અને છેવટે બચ્ચનને એ રકમ છોડવી પડી. એ જંગી રકમ સામે મીડિયાએ અમિતાભનું એ નિવેદન હાઇલાઇટ કર્યું કે પોતે જનહિતના કામોને પ્રમોટ કરવાની કોઇ ફી લેતા નથી. એ કરાર જે કંપનીએ કર્યો હતો તે ‘લિન્ટાસે’ હજી સ્ટારને કોઇ પેમેન્ટ કર્યું નહતું. તેથી એ સરકારને પરત જમા કરાવી દેશે. પણ ઍડ કંપનીની પ્રેસનોટમાં સ્પષ્ટ લખાયું છે કે રકમ અંગે વાટોઘાટો થયા પછી ૧૨મી મેએ બચ્ચન સાહેબની ઓફિસે સંમતિ આપ્યા બાદ જ એ રકમ સરકાર પાસે માંગવામાં આવી હતી.  મતલબ કે અમિતાભની જાણ બહાર આ ફી લેવામાં આવી હોય એવો શકનો લાભ પણ મળે એમ નહતો. હવે બચ્ચનદાદાએ ૬ કરોડ પ્લસ રૂપિયા છોડ્યા છે, એ પણ સલમાન ‘બજરંગી ભાઇજાન’ના સંભવિત નફામાંથી કરવાનો છે તે ઉદાર દાન જેવા જ ગણાશે.


ખેડૂતો માટે સલમાને કરેલી કોઇ સખાવત કે ‘બજરંગી....’ જેવી ફિલ્મ અદાલતના ન્યાયને અસર કરી શકે છે કે કેમ? એ તો ભવિષ્યમાં ખબર પડશે; પણ આવી બધી ચર્ચાઓના શોરમાં સુપ્રિમ કોર્ટના આંગણેથી આવેલા એક એવા સમાચાર ઓછા ચર્ચાયા, જે ફિલ્મો માટે વાર્તા કે સ્ક્રિપ્ટ લખતા સૌ માટે ખુબ અગત્યના હતા. દેશની સર્વોચ્ચ અદાલતે ૨૦મી જુલાઇએ હુકમ કર્યો કે કુણાલ કોહલીની ફિલ્મ ‘ફિર સે’નાં લેખિકા જ્યોતિ કપૂરને ૨૫ લાખ રૂપિયા મહેનતાણું અને વાર્તાલેખક તરીકેની ક્રેડિટ બન્ને આપવાં. એ સમાચારનો પ્રત્યાઘાત આપતાં કુણાલે કહ્યું કે હવે મારા પિક્ચરને રિલીઝ કરવાનો રસ્તો ખુલી ગયો છે. પરંતુ, ફિલ્મી મીડિયામાં કોઇએ એ મુદ્દો ના ઉપસ્થિત કર્યો કે જ્યોતિની વાર્તા-સ્ક્રિપ્ટની ઉઠાંતરી થઈ હતી અને સુપ્રિમ સુધીની લડત પછી એ લેખિકાને ન્યાય, નાણાં અને ક્રેડિટ મળ્યાં હતાં! ‘ફિર સે’ની ચોરીની કથા પણ જાણવા જેવી છે.


 જ્યોતિ પોતે પુના ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં ટ્રેઇનિંગ લીધેલાં હોઇ એ સ્ક્રિપ્ટ તેમણે રજીસ્ટર કરાવેલી હતી. રજીસ્ટર કરાવેલી એ સ્ક્રિપ્ટ તેમના એજન્ટે કુણાલ કોહલીને ઇમેઇલથી મોકલી. કુણાલે ૨૦૧૩માં જ્યોતિને રૂબરૂ બોલાવીને પૈસાની લેવડ દેવડથી માંડીને ટાઇટલમાં ક્રેડિટ આપવા સુધીના મુદ્દાઓની ચર્ચા કરી. પણ વાર્તાની ક્રેડિટ જ્યોતિને નહીં આપવાની શરત હોઇ વાત જામી નહીં. થોડા વખત પછી એ જ વાર્તા જ્યોતિએ અન્ય નિર્માતા ત્રિલોક મલ્હોત્રાને વેચી. આ બાજુ કુણાલે ‘ફિર સે’ના ટાઇટલ સાથે પિક્ચર બનાવી દીધું. એક્ટરોની તારીખોના પ્રશ્ન નહતા. કેમ કે ‘સરસ્વતિચંદ્ર’ સિરિયલમાં ‘કુમુદસુંદરી’ બનતી ટીવી એક્ટ્રેસ જેનીફર સાથે ખુદ કુણાલ જ એક્ટિંગના ક્ષેત્રે આ ફિલ્મથી આવી રહ્યા હતા. (૪૦ વરસે નવોદિત? એવો સવાલ ના થાય તે માટે પિક્ચરની ટૅગ-લાઇન આવી છે: “હું ચાલીસ વરસનો નથી.... હું તો ૨૨ વરસના અનુભવવાળો ૧૮ વર્ષનો છું!”)


‘ફિર સે’ને ૨૧ મે ૨૦૧૪ના રોજ ફિલ્મ રિલીઝ કરવાના પ્લાન સાથે તેની પબ્લિસિટી માર્કેટમાં આવી. તે જ્યોતિએ જોઇ અને સમજાઇ ગયું કે આ તેમની જ સ્ક્રિપ્ટ છે. તેમણે ફિલ્મ રાઇટર્સ એસોસિએશનમાં ફરિયાદ કરી. એસોસિએશને બન્ને સ્ક્રિપ્ટની સરખામણી એક્સ્પર્ટ પાસે કરાવી. ચુકાદો જ્યોતિના પક્ષમાં આવ્યો કે તેમની જ સ્ક્રિપ્ટની ઉઠાંતરી હતી. એ ચુકાદો હોવા છતાં ફિલ્મની રજૂઆત અટકી નહતી. તેથી લેખિકાએ હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા અને ત્યાંથી સ્ટે મળ્યો. ખરેખર તો આ તબક્કે જ મામલો સુલઝી જવો જોઇતો હતો. પરંતુ, એ સ્ટે ઉઠાવવા નિર્માતા સુપ્રિમ કોર્ટમાં ગયા. ત્યાં સર્વોચ્ચ અદાલતે બન્ને ક્રિએટિવ વ્યક્તિઓ ઝગડે તે યોગ્ય ન કહેવાય એમ કહી સર્વસંમત રસ્તો કાઢવા સૂચન કર્યું. છેવટે ૨૫ લાખ રૂપિયાનું વળતર તેમજ ટાઇટલમાં લેખિકા તરીકે જ્યોતિ કપૂરનું નામ લખવા સહિતની શરતો સાથેના સમાધાનને માન્ય રાખીને સુપ્રિમે ઓર્ડર કર્યો! આટલી જબ્બર લડત લેખિકાએ આપી અને ઉઠાંતરી સાબિત થયેલી હતી. છતાં માહૌલ એવો બનાવાય છે જાણે કે નિર્માતાએ પોતાના પિક્ચરને નડતો કોઇ અંતરાય દૂર કરવા સમાધાન કર્યું હોય. “આખરે તો આપણે બધા એક જ કુટુંબના સભ્યો છીએ” જેવાં સુવાક્યો બોલીને આખો મામલો ટાઢો પડાય છે. પણ કોઇ સામો સવાલ નથી પૂછતું કે શું પરિવારના જ ઓછી આર્થિક તાકાતવાળા એક સભ્યની ઇન્ટલએક્ચ્યુઅલ પ્રોપર્ટીની ચોરી કરાય કે? (સોચો ઠાકુર!)

તિખારો!

અમિતાભ બચ્ચનને શબ્દોની કળા વારસામાં મળી છે, તેનો વધુ એક પુરાવો. હમણાં તેમણે એક ફોટો સોશ્યલ મીડિયામાં બહુ ચર્ચાયો. તેમાં સાઉથના એક પરિવાર સાથે વિશાળ ડાઇનિંગ ટેબલ પર જાત જાતની વાનગીઓ સાથે, ‘હેડ ઓફ ધી ફેમિલી’ના સ્થાને બચ્ચન સાહેબ બેઠેલા દેખાય છે. એ વિશે એવી ચર્ચા ચાલી હતી કે ‘બીગ બી’ સોનાની થાળીમાં જમ્યા હતા. ‘ગરીબ દેશમાં સંપત્તિનો આવો વલ્ગર દેખાડો? અને અમિતાભ તેમાં સાથ આપે?’ બચ્ચન દાદાએ જવાબ લખ્યો, “મેં સોનાની થાળીમાં જમણ નહતું લીધું. કેળનાં પાનમાં જમણ પીરસાયું હતું, પણ હા, તે સમયે ગાળેલી પળો જરૂર ગોલ્ડન (સોનેરી) હતી.”!


Monday, July 20, 2015

ફિલમની ચિલમ ૧૯ જુલાઇ ૨૦૧૫



શાહરૂખે જાતે ‘મન્નત’ની દિવાલ પર લખાવ્યું........

‘લવ યુ એસઆરકે’!


  ‘બાહુબલી’એ પહેલા વીક એન્ડમાં જ સેન્ચુરી ફટકારીને નવો વિક્રમ સર્જ્યો હોવા છતાં, ફરી એકવાર બારમા ધોરણનું બોર્ડનું રિઝલ્ટ આવ્યું હોય એવો અથવા તો દિલ્હીની સેન્ટ સ્ટિફન કોલેજના એડમિશન જેવો માહોલ છે. દિલ્હીની એ પ્રતિષ્ઠિત કોલેજમાં ઇંગ્લિશ સાથે ગ્રેજ્યુએટ થવાનું એડમિશન ૯૯.૯૯ ટકાએ અટક્યું છે! હવેના સમયમાં ૧૨માના પરિણામ વખતે ૯૦% લાવ્યા છતાં વિદ્યાર્થીનાં માતા-પિતા નિરાશ થઈ શકે એવું વાતાવરણ ‘બાહુબલી’ના સો-દોઢસો કરોડના આંકડા છતાં છે. કારણ, દક્ષિણની આ ફિલ્મ પાછળ ઇન્વેસ્ટમેન્ટ ૨૫૦ કરોડનું છે અને સૌથી પહેલું ટાર્ગેટ એ આંકડો પાર કરવાનું હોય એ સ્વાભાવિક છે. તેને માટેનો બિઝનેસ કેન્વાસ પણ એવો જ વિશાળ રખાયો છે. ‘બાહુબલી’ને મૂળ તેલુગુ અને તમિલમાં તૈયાર કર્યા પછી હિન્દી, મલયાલમ, ઇંગ્લિશ ઉપરાંત ફ્રેન્ચ તેમજ જાપાનીઝ ભાષામાં પણ ડબ કરવામાં આવી છે! એટલું જ નહીં, કોઇપણ પ્રાદેશિક ભાષાની ફિલ્મ માટે એક સાથે વિશ્વભરમાં ૪૦૦૦ સ્ક્રિન્સ પર રિલીઝ કરવાનો નવો રેકોર્ડ પણ સ્થાપિત કર્યો છે.

છતાંય ચિંતા રહે, કારણ કે તેના બીજા જ સપ્તાહે એટલે કે ૧૭મીએ સલમાન ખાનની ‘બજરંગી ભાઇજાન’ આવે છે. એટલે ‘બાહુબલી’ના હિન્દી સ્ક્રિન્સ અને ઓડિયન્સ બન્નેમાં નિશ્ચિત મોટો કાપ આવવાનો અને ગમ્મત એ થવાની કે ‘બીબી વિરુધ્ધ બીબી’નો જંગ એ એક જ પિતાનાં બે સંતાનો વચ્ચેનું દ્વંદ્વ હશે. કારણ કે BB અર્થાત ‘બાહુબલી’ અને BB એટલે કે ‘બજરંગી ભાઇજાન’ બન્નેના લેખક વી. વિજયેન્દ્ર પ્રસાદ છે, જે ‘બાહુબલી’ના દિગ્દર્શક રાજામૌલીના પપ્પા પણ છે. (પિતા લેખક હોય અને પુત્ર નિર્દેશક હોય એ -‘બોર્ડર’ના- ઓ.પી. દત્તા અને જે.પી. દત્તા જેવી આ સાઉથના બાપ-દીકરાની  જોડી છે) હકીકતમાં તો બેઉ પિક્ચરમાં પુરૂષ કલાકારો મજબુત બોડી બિલ્ડર હોઇ ‘બેઉ બળિયા બાથે વળગ્યા...’ જેવો ઘાટ થવાનો છે. સલમાનને તેના અભિનય કરતાં શારીરિક સૌષ્ઠવના માર્ક વધારે આપવા પડે એ કોણ નથી જાણતું? જ્યારે ‘બાહુબલી’ના બન્ને લીડ એક્ટર્સ પ્રભાસ અને રાના રગુબટ્ટીને સ્પેશયલી બોડી બનાવવા એક વરસની ટ્રેઇનિંગમાં લગાડાયા હતા.



પ્રભાસની બોડી બિલ્ડિંગ માટેનું મશીન જ દોઢ કરોડ રૂપિયાનું આવ્યું હતું! ‘બાહુબલી’ની સ્પેશ્યલ ઇફેક્ટ્સ માટે ‘જુરાસિક વર્લ્ડ’ના ટેક્નિશ્યન્સને મોંઘા ભાવે સાઇન કરાયા હતા. ત્રણ વરસમાં તૈયાર થયેલી ‘બાહુબલી’ની સરખામણીએ આઠ-દસ મહિનામાં બનેલી ‘બજરંગી ભાઇજાન’ સાવ સસ્તા પડતરની પ્રોડક્ટ કહેવાય. છતાં એ પાકિસ્તાન સહિત ૫૦ દેશોમાં રિલીઝ કરાય એટલે તેનું ઇનિશ્યલ ટેકિંગ જ ટિકિટબારીને છલકાવનારું સાબિત થવાનું. પાકિસ્તાનમાં, આ લખાય છે ત્યારે (બુધવારે) ઇસ્લામાબાદ અને કરાંચીના સેન્સર બોર્ડમાંથી થોડા કટ સાથે ફિલ્મ પાસ થઈ છે, લાહોર હજી બાકી છે. (ત્યાં આપણી માફક આખા દેશનું એક જ સેન્સર બોર્ડ નથી)  પરંતુ, બે દેશો વચ્ચેના સંબંધોની સ્થિતિ પર પણ પાકિસ્તાનમાં ફિલ્મની સફળતાનો આધાર રહેવાનો. બાકી જે રીતે અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને મધ્યપૂર્વના થઈને લગભગ સાડી ચારસો ઇન્ટરનેશનલ સ્ક્રિન્સ બુક કરાયા છે એ જોતાં ‘બજરંગી ભાઇજાન’ માટે ૧૦૦ કરોડ કે ઇવન ૨૦૦ કરોડની અપેક્ષા વધારે ન ગણાય. તેને લીધે જેનું ટ્રેઇલર આ મુવી સાથે મૂકાવાનું છે તે ‘સલમાન ખાન પ્રોડક્શન’ની આવી રહેલી ફિલ્મ ‘હીરો’નો પ્રચાર પણ એવો જ પ્રચંડ થવાનો.

‘હીરો’ની રિલીઝ ડેટ માટેનો, ગયા સપ્તાહે અહીં લખ્યો હતો તે, ગુંચવાડો છેવટે ઉકેલાઇ ગયો અને અનિસ બાઝમીની ‘વેલકમ બેક’ને ખુલ્લો રસ્તો અપાશે. તેને માટે ‘હીરો’ને ખસેડવાનું નક્કી કરાયું છે. તેથી હવે  ‘હીરો’ ચોથી સપ્ટેમ્બરે નહીં, પણ તેના પછીના શુક્રવારે એટલે કે ૧૧મીએ આવશે અને તે મુજબની તારીખ ટ્રેઇલરમાં હશે. ટ્રેઇલર રિલીઝ કરવાનું પણ એક મહત્વ લાંબા સમયથી ફિલ્મ ઉદ્યોગમાં છે જ. અગાઉના સમયમાં ‘યુ ટ્યુબ’ જેવી સગવડો નહતી, ત્યારે ફિલ્મોની છાપામાં આવતી જાહેરાતમાં ‘સાથે ફલાણા પિક્ચરનું ટ્રેઇલર જુઓ’ એવું આકર્ષણ પણ લખાતું! આજકાલ એક ટ્રેલરની ચારેકોર ચર્ચા છે. ‘બજરંગી ભાઇજાન’માં પણ અગત્યની ભૂમિકા કરનાર નવાજુદ્દીન સિદીકીને ચમકાવતી ફિલ્મ ‘માંઝી’નું ટ્રેઇલર. આમિરખાને પોતાના પ્રોગ્રામ ‘સત્યમેવ જયતે’ની એક સિઝન જેમની સત્યકથા સાથે સમાપ્ત કરી હતી તે દશરથ માંઝીની લવસ્ટોરી અનોખી છે. પત્નીની યાદમાં એકલે હાથે પહાડ ચીરીને રસ્તો બનાવનાર માઉન્ટેઇન મેનના ટ્રેઇલરના ‘યુ ટ્યુબ’ પર એક અઠવાડિયામાં ચૌદ લાખ વ્યૂ થયા છે. તેની નીચેની કોમેન્ટ્સમાં ઘણાએ ઓસ્કાર મળે એવી શક્યતા દેખાડી છે, જ્યારે કેટલાકે એ ટ્રેઇલરને ‘સ્પોઇલર’ પણ કહ્યું છે; કારણ ફિલ્મની આખી વાર્તા તેમાં આવી જાય છે.  

 
 
અત્યારનો તો સમય જ એવો છે કે પબ્લિસિટીનું પ્લાનિંગ કરતી વખતે, જેમ ગયા અઠવાડિયે શાહરૂખખાને કર્યો એવો, ઇવન ટ્રેઇલરની પણ નહીં માત્ર નાનકડા ટીઝરની ઉત્સુકતા ઉભી કરવાનો પણ નવતર નુસ્ખો અજમાવાય. શાહરૂખની આગામી ફિલ્મ ‘ફૅન’ હજી તો ૨૦૧૬ની ૧૫મી એપ્રિલે આવવાની છે અને છતાં તેનું ટીઝર ૯મીએ રિલીઝ કરતાં પહેલાં તેણે કેવો ખેલ પાડ્યો હતો? ‘ટીઝર’નો શબ્દાર્થ ‘મસ્તી કરનાર’ એમ કરી શકાય. તેને ટ્રેઇલરની અછડતી આવૃત્તિ પણ કહી શકાય. પહેલાંના જમાનામાં આવનારા પિક્ચરના ફોટા થિયેટરના કાચના શોકેસમાં મૂકીને ઉત્સુકતા જગાડાતી હતી; એવું જ કંઇક. પરંતુ, નવ જુલાઇએ સવારે શાહરૂખે પોતાના ‘મન્નત’ બંગલાની બહારની દિવાલ પર કોઇએ કરેલા ચિતરામણના ફોટા સાથે ટ્વીટ કર્યું. ‘મન્નત’ની કમ્પાઉન્ડ વૉલ પર  કોઇએ લખ્યું હતું ‘લવ યુ એસઆરકે(SRK) .... સી યુ ઓન 15’. સાથે પોતે બળાપો વ્યક્ત કરતા હોય એમ લખ્યું, “તમારા ઘરની દિવાલને કોઇએ ’ને કોઇએ બગાડી ના હોય એવો કોઇ દિવસ જતો નથી!! શૉક્ડ!!!”  અને તે સાંજે જ ‘ફૅન’નું ટીઝર ‘યુ ટ્યુબ’ પર મૂકાયું. 



તેનો સીધો મતલબ એ કે ‘ફૅન’ની પબ્લિસિટી માટે પોતાના બંગલાની કમ્પાઉન્ડ વૉલ પર એ ચિતરામણ ખુદ શાહરૂખે જ કરાવ્યું હતું. (કેવી ગમ્મત કે જાતે જ પૈસા આપીને લખાવવાનું ‘લવ યુ એસઆરકે’!!) કોઇ આશ્ચર્ય ખરું કે ‘યુ ટ્યુબ’ પર ગણત્રીના કલાકોમાં જ લાખો લોકોએ એ ટીઝર જોઇ કાઢ્યું. છેલ્લો આંકડો ત્રણ મિલિયનનો એટલે કે ત્રીસ લાખનો છે. આમ ટ્વીટર જેવા સોશ્યલ મીડિયાનો ઉપયોગ પબ્લિસિટી ઉપરાંત કલાકારો પોતાની વાત કહેવા માટે કરતા થયા હોઇ સૌને પોત પોતાના ખુલાસા તરત કરી દેવાની તક પણ મળે છે. તેમાં કપિલના શોનું સંચાલન હવે કોણ કરશે એવી ચર્ચાઓને શાંત પાડતી સ્પષ્ટતા થવા જેવી સફળતા પણ મળે અને ક્યારેક અભિજીત અને હેમામાલિનીના ટ્વીટ જેવા લોસ્મોચા પણ વાગે, જે મામલાને ઓર ગુંચવે.

કપિલની જગ્યાએ અર્શદ વારસી ‘કોમેડી નાઇટ્સ’નું સંચાલન કરશે એ ન્યૂઝ ખુદ અર્શદે ટ્વીટર પર આપ્યા પછી તો ખુદ ‘કલર્સ’ ચેનલે પણ પોતાના ટવીટર એકાઉન્ટ પર એ જ સમાચાર કન્ફર્મ કર્યા. પણ, તે અગાઉ કેટલાં નામ બજારમાં ઘૂમરાતાં હતાં? અર્જુન કપૂર, રીતેશ દેશમુખ જેવા એક્ટરોથી માંડીને સાજીદખાન તથા ફિલ્મફેર એવોર્ડ સમારંભમાં પોતાની સાથે કપિલને રાખીને સંચાલન કરનાર કરણ જોહર સરખા દિગ્દર્શકો પણ તેમાં ઉમેદવાર ગણાતા હતા. એ દરેકે ટ્વીટ દ્વારા ચોખવટ કરીને પોતાનું નામ અલગ કર્યું. પરંતુ, અત્યારે ટીવી સર્કલ્સમાં પૂછાતો મોટો સવાલ એ છે કે શું અર્શદ વારસી કપિલ જેવું તત્કાળ રિસ્પોન્સનું હાજરજવાબીપણું બતાવી શકશે? (સોચો ઠાકુર!)


તિખારો!
 

કપિલે પોતાના સંચાલનના છેલ્લા શોમાં આવેલા સલમાનખાનને ગમ્મતમાં કેટલાય નિર્માતાઓની પીડા કહી દીધી. હસતા હસતા કપિલ કહે, “ભાઇ, આપ અપની ફિલમ ઇદ પર રિલીઝ કરતે હો, આમિર ક્રિસ્મસ પર ઔર શાહરૂખભાઇ દિવાલી પર. તો હમ લોગ અપની પિક્ચર કબ લગાયેં?..... નાગપંચમી પર?!”

Sunday, July 12, 2015

ફિલમની ચિલમ.... ૧૨ જુલાઇ, ૨૦૧૫






શાહિદ કપૂર મીરા સાથે જાહેરાતોમાં

                    સજોડે જોવા મળશે કે પછી....? 




શાહિદ કપૂરના લગ્નમાં તેનાં અસલી મમ્મી નીલિમા અઝીમ શું સાવ બૅકગ્રાઉન્ડમાં રહી ગયાં હતાં? સૌ જાણે છે એમ, નીલિમા એક સમયનાં ગ્રેટ ટીવી એક્ટ્રેસ અને પંકજ કપૂરનાં પ્રથમ પત્ની છે અને તે નાતે કંકોત્રીમાં નિમંત્રક તરીકે પંકજ અને સુપ્રિયાની સાથે સાથે તેમનું પણ નામ હતું. તે સાઇડ ટ્રૅક થયાની ચર્ચાઓને ભલે બહુ મહત્વ ના મળ્યું હોય. પરંતુ, જ્યારે મેરેજ માટે બુક કરાવાયેલી હોટલમાં નીલિમા ના રોકાયાં અને તેમની એક સહેલીને ત્યાં પોતાનો ઉતારો રાખ્યો ત્યારે ગણગણાટ થવો સ્વાભાવિક હતો. શું તેને લીધેનીલિમા મૉમના મહેંદી મૂકેલા હાથના ફોટા કે પછી ગૃપ ફોટામાં તે હોય એવી તસ્વીરો પણ સર્ક્યુલેટ કરાઇ હતી?
હવે ૧૨મીના રિસેપ્શનમાં નીલિમાજી શોભામાં કેવી અને કેટલી અભિવૃદ્ધિ કરે છે તે ઉપર મીડિયા સહિત ઘણાની નજર રહેવાની, એ નક્કી. (અધિક મહિનામાં અધિક લગ્ન? એમ પૂછવાનું મન થાય એમ ‘યહાં’ની હીરોઇન અને ‘બીગ બોસ-૮’માં એક સાલસ સ્વભાવની યુવતી તરીકે ઉપસી આવેલી મિનિષા લાંબાએ પણ છઠ્ઠી જુલાઇએ સાદાઇથી લગ્ન કરી લીધાં.... ખરી ધામધૂમ શાહિદની માફક રિસેપ્શનમાં થશે!) શાહિદને પોતાના લગ્નજીવનની શરૂઆત થતા પહેલાં દુલ્હનનાં કુમકુમ પગલાં વર્તાવા માંડ્યાં હતાં. તેને જુદી જુદી બ્રાન્ડ્સ તરફથી જાહેરાતોમાં સજોડે ચમકવાની ઓફર્સ આવવી શરૂ થઈ ગઈ છે. એક દંપતિ તરીકે શાહિદ અને મીરાને જ્વેલરીથી માંડીને કલરની અને ફરનીચરથી લઈને ઇવન મુરતિયા અને કન્યા શોધવાની લગ્ન વિષયક- મૅટ્રિમોનિયલ- એડમાં લેવાની દરખાસ્તો આવી ચૂકી છે. શાહિદ નવોઢાને ગ્લેમરનો સ્વાદ ચખાડવા ઇચ્છતો હશે તો એ ‘કપલ એડ’ સ્વીકારે પણ ખરો. એટલે આવનારા દિવસોમાં એવી કોઇ એકાદ જાહેરાતમાં શાહિદ-મીરાને સજોડે જુઓ તો નવાઇ ન પામતા.

 
મીરા માટે ખરી પરીક્ષા આ સેલીબ્રિટી સ્ટેટસ સાથે એડજ્સ્ટ થવાની હશે. એક અજાણી વ્યક્તિમાંથી રાતોરાત જાણીતી બ્રાન્ડ એમ્બેસેડર કે ઇવન સ્ટાર-વાઇફ થવાનું એટલું સહેલું નથી હોતું. શાહિદના તો કરિના અને પ્રિયંકા જેવી હીરોઇનો સાથેના સંબંધોની ગૉસીપ જગજાહેર છે; પરંતુ, મીરાના કહેવાતા જૂના બૉયફ્રેન્ડની તસવીરો પણ ઑલરેડી સોશ્યલ મીડિયામાં ફરવી શરૂ થઈ ચૂકી છે. સ્ટારની પત્ની જો ફિલ્મ ઇન્ડસ્ટ્રી બહારની હોય તો તેની પાસે લાઇફ સ્ટાઇલના બે વિકલ્પ હોય છે. કાં તો સિનેમાના સર્કલમાં બહુ ઇન્વોલ્વ થયા વગર વિવેક ઓબેરોયની પત્ની પ્રિયંકા આલ્વાની (જે હમણાં બીજા સંતાનની માતા બન્યાં તેમની) માફક કે ઇમરાનખાનની વાઇફ અવંતિકાની જેમ પોતાનો ઘરસંસાર ચલાવવામાં ધ્યાન આપવું; અથવા તો ગૌરી ખાનની માફક પાર્ટીઓ અને ફંક્શનોની સોશ્યલ સર્કિટમાં પોતાનું આગવું સ્થાન ઉભું કરવું.
આમ તો એવું મનાય છે કે મીરા બહુ પબ્લિસિટીમાં નહીં સામેલ થાય, કારણ કે તે એક સત્સંગી પરિવારમાંથી આવે છે. તેમની સમગ્ર લગ્નવિધિ દરમિયાન મીરાના પિયરને જેમનામાં આસ્થા છે એ રાધાસ્વામી (બિઆસ) પંથના ગુરૂજી સતત ઉપસ્થિત રહ્યા હતા. પણ ફિલ્મો અને ગ્લેમરની ચકાચૌંધ ભલભલાને લલચાવવાની તાકાત ધરાવે છે અને એ જ ખરી પરીક્ષા હોય છે. પણ શાહિદ ઉપરાંત તાજેતરમાં જહોન અબ્રાહમ પણ પ્રિયા રૂચાલ સાથે પરણ્યા પછી ફિલ્મ ઉદ્યોગના સૌથી લોકપ્રિય અપરિણિત સલમાન ખાનને લગ્નની સંભાવનાના પ્રશ્ન પૂછાવા સ્વાભાવિક હતા અને તે અંગેના જવાબથી સૌને આંચકો લાગ્યો! ‘તમે પણ શાહિદની માફક એરેન્જ્ડ મેરેજ કરવાનું પસંદ કરો?’ એવો સવાલ ‘બજરંગી ભાઇજાન’ના પ્રચાર માટે આજકાલ પ્રેસને નિયમિત મળતા સલમાનને પૂછાયો, ત્યારે જવાબ શું હતો? “વ્હાય નોટ? પણ હજી સુધી મારી પાસે એવી કોઇ દરખાસ્ત આવી નથી...” (એનો એક અર્થ એવો પણ થઈ શકે કે કોઇ કન્યાએ કે તેના પરિવારે હજી પહેલ/હિંમત કરી નથી!)

સલમાનને અત્યારે તો જેનો બિઝનેસ ૩૦૦ કરોડનો અંદાજાઇ રહ્યો છે તે ‘બજરંગી ભાઇજાન’ની રજૂઆત હેમખેમ પાર પાડવાની છે. (ઑલરેડી વૉટ્સએપ પર ફરતા એક ઝેરીલા કોમવાદી સંદેશા અંગે સલમાને જાતે પોલીસના સાયબર સૅલમાં ફરિયાદ કરી છે) તે ફિલ્મ અંગેના વિવાદોની શક્યતાઓ વચ્ચે કોર્ટ-કચેરીના લફરામાં રિલીઝને અસર ન થાય એ પણ જોવાનું છે. ત્યાં એક નવા મોરચે પણ ગુંચવાડો ઉકેલવાનો થયો છે. ‘બજરંગી ભાઇજાન’ સાથે સલમાનની પ્રોડક્શન કંપનીની આવનારી ફિલ્મ ‘હીરો’ની એડવાન્સ પબ્લિસિટી પણ શરૂ કરવાની છે. સૌ જાણે છે એમ, ‘હીરો’માં આદિત્ય પંચોલીના દીકરા સૂરજ અને સુનિલ શેટ્ટીની પુત્રી અથિયાને સલમાને ચાન્સ આપ્યો છે.  સૂરજની ધરપકડ  ઝિયા ખાનના આપઘાત પછી થઈ અને એવા વિવાદોને પગલે પિક્ચર તૈયાર હોવા છતાં રજૂઆત માટે યોગ્ય સમયની રાહ જોવાતી હતી. પરંતુ, મેળ પડતો નહતો. ત્યાં જ સમાચાર આવ્યા કે કરણ જોહરની કંપનીની શાહિદ કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ ‘શાનદાર’ની રજૂઆતની તારીખ બદલવાની થઈ છે અને એ ખાલી પડેલા સ્લૉટમાં ‘હીરો’ ગોઠવાય એમ નક્કી કર્યું.
તેથી ‘હીરો’ નો ફર્સ્ટ લુક ખુદ સલમાને પોતાના ટ્વીટર એકાઉન્ટ પર મૂકીને શુભ આરંભ કર્યો અને ‘બજરંગી....’ જેવા વર્ષના અત્યાર સુધીના સૌથી મોટા પિક્ચર સાથે ‘હીરો’નું ટ્રેઇલર મૂકવાનો પણ પ્લાન કર્યો છે.  સવાલ એ છે કે ‘હીરો’ના ટ્રેઇલરમાં રિલીઝ ડેટ કઈ લખવી? પ્લાન ચોથી સપ્ટેમ્બરના છે. પરંતુ, ‘શાનદાર’ ખસ્યાની વાત ફેલાઇ ત્યાં જ અનીસ બાઝમીએ પોતાની નાના પાટેકર, જહોન અબ્રાહમ, અનિલ કપૂર, પરેશ રાવલ જેવા ધુરંધરોને લઈને બનાવેલી  ફિલ્મ ‘વેલક્મ બૅક’ માટે પણ ૪ સપ્ટેમ્બર એનાઉન્સ કરી દીધી. હવે જો સલમાનના ‘હીરો’ને ઓડિયન્સ માટે ‘વેલકમ’ જેવી હીટ પ્રોડક્ટની સિક્વલ સામે હરિફાઇ કરવાની થાય તો ધારી જમાવટ ના થાય એ સ્વાભાવિક છે. કારણ, જો ‘હીરો’ અને ‘વૅલકમ બૅક’ બેઉ એક સાથે આવશે તો ઢગલાબંધ થિયેટરો બુક કરવાના અત્યારના ટ્રેન્ડમાં ‘હીરો’ માટે કેટલા સ્ક્રિન ઉપલબ્ધ થાય એ સવાલ થવાનો. પણ તેથી મોટો સવાલ એ છે કે ‘વૅલકમ બૅક’ના અનીસ બાઝમી એક્ટર સલમાન કરતાં ‘હીરો’ ફિલ્મના પ્રોડ્યુસર એવા ‘ભાઇજાન’ને નારાજ કરવાનું સાહસ કરી શકશે? કેમ કે તેમની બીજી અંડર પ્રોડક્શન ફિલ્મ ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ના મેઇન સ્ટાર ખુદ સલમાનખાન જ છે! (સોચો ઠાકુર!!)
 
તિખારો!
આ મજાક બદલ રીશીકપૂરે સોનાક્ષી સિન્હાની માફી પણ માગી લીધી છે. પરંતુ, ટ્વીટર પર ચિન્તુબાબાએ કરેલી આ ગમ્મત છે  ઇન્ટેલિજન્ટ....
 “પુલિસને  અસ્સી કિલો હીરોઇન પકડા.. ''
'' હીરોઇન? સોનાક્ષી નિર્દોષ જ હશે, પોલિસે તેને છોડી દેવી જોઇએ!!”