Sunday, October 25, 2015

ફિલમની ચિલમ... ૨૫ ઓક્ટોબર, ૨૦૧૫




હિન્દી સિને સંગીતના આધુનિક ‘સુરદાસ’ રવીન્દ્ર જૈન!
 

મીઠી મીઠી ભારતીય તર્જોના સંગીતકાર અને સમર્થ કવિ રવીન્દ્ર જૈનની શરૂઆત ભલે ‘કાંચ ઔર હીરા’ જેવી સાવ અજાણ્યા કલાકારોની ફિલ્મથી થઈ હતી, જેમાં હીરો હતા પંકજ અને હીરોઇન શાહિન! છતાં તેમાં પણ રફી સાહેબનું એક અમર ગીત આપ્યું જ હતું. ‘પુત્રનાં લક્ષણ પારણામાંથી’ એ કહેવતને સાચી પાડે એવું મજબુત એ ગીત તેમણે પોતે જ લખ્યું હતું. તેના શરૂઆતના આ શબ્દો સાંભળો તો થાય કે રવીન્દ્ર જૈન પોતાનું આત્મકથન કહેતા હતા.....

“નજર આતી નહીં મંઝિલ,
તડપને સે ભી ક્યા હાસિલ,
તકદીર મેં અય મેરે દિલ અંધેરે હી અંધેરે હૈં’!  

આગળ ઉપર એ જ ગીતમાંની આ પંક્તિઓ જુઓ, “નૈંનો સે યું છિન ગઈ જ્યોતિ, સીપ સે જૈસે મોતી...”! એવી જ એક આ શાયરી પણ હ્રદય સોંસરી ઉતરી જાય એવી છે. ગૌર ફરમાઇયેગા..

“ગીત ગાતે હૈં ગુનગુનાતે હૈં, દિલ મેં રખતે હૈં દિલ કે દાગોં કો,
હમ તો દાન ભી કર દેં આંખો કો, પર કૌન લેગા બુઝે ચિરાગોં કો”! 

તેમને માટે પ્રથમ ગીત ગાનાર એ અમર ગાયક અને અલ્લાહના આદમી જેવા સાલસ સ્વભાવના મોહમ્મદ રફી સાહેબ ગુજરી ગયા, ત્યારે રવીન્દ્ર જૈને તેમને શ્રદ્ધાંજલિ આપતાં આવી કવિતા કરી હતી...
નગ્મેં તો તેરે ફિર ભી સુને જાયેંગે લેકિન,
કુછ તેરી જરૂરત હમેં ઇસ કે ભી સિવા થી
નાખુશ હૈ ખુદા અપને ફરિશ્તોં સે, નહીં તો
ધરતી કે ફરિશ્તે કી ઉસે જરૂરત ક્યા થી?


રફી સાહેબની  ૩૩મી પૂણ્યતિથિએ તેમણે ફરી એકવાર રફી સાહેબને યાદ કરતાં આવી શાયરી કરી હતી...

અલ્લાહ, વો રોજા થા કિ થા રોજા-એ-કયામત
ઇફ્તારી કા થા વક્ત ઉધર સર પે કઝા થી
હાજી થા, નમાઝી થા, બડા નેક થા બંદા
ક્યા ઇસકે અલાવા ભી કોઇ ઉસકી ખતા થી?


એટલે સંગીતકાર તરીકેની તેમની કરિયરમાં તેમણે રચેલાં એક એકથી ચઢિયાતાં આલ્બમની પ્રશંસાઓ અને ચર્ચાઓ ખુબ થઈ છે અને હજી થયા કરશે. જેમ કે ‘ચોર મચાયે શોર’ના ગીત ‘ઘૂંઘરુ કી તરહ બજતા હી રહા હું મૈં...’ને ઘણા કિશોરકુમારનાં સ-રસ ગંભીર ગાયનોમાં સામેલ કરતા હોય છે. એ ગીતના રેકોર્ડિંગના દિવસે અન્ય એક સંગીતકારને પણ સમય આપ્યો હતો. પરંતુ, રિહર્સલ દરમિયાન જ કિશોરદાને અંદાજ આવી ગયો હતો કે ખરજમાં શરૂ થઈને ઊંચા સ્વરોમાં પ્રવાસ કરતું આ ગીત તેમની કરિયરનું એક ઉત્કૃષ્ટ સર્જન થવાનું હતું. તેથી પેલા અન્ય મ્યુઝિક ડીરેક્ટરને બેઠક રદ કરવા સંદેશો મોકલી દઈ પોતે ‘દાદુ’ સાથે નિરાંતે ગોઠવાઇ ગયા!

પરંતુ, પાશ્ચાત્ય સંગીતને બદલે ભારતીય સંગીતને અને ખાસ તો ઢોલક, તબલાં, નાલ, પખાવજ જેવાં તાલ-વાદ્યોને વળગી રહેનારા ગણત્રીના સંગીતકાર તરીકે તેમનું સ્થાન અવિચળ રહેવાનું છે. પરંતુ, અગાઉ કહ્યું છે એમ, એક કવિની હૈસિયતથી પણ તેમનું અલાયદું મૂલ્યાંકન થવું જોઇએ. (ગીતો રચવાની તેમની કાબેલિયતમાં વધારો થાય એવો એક સંજોગ ૧૯૮૨માં થયો, જ્યારે કવિયત્રી દિવ્યા જૈન સાથે તેમનાં લગ્ન થયાં હતાં!) કવિ અને સંગીતકાર ઉપરાંત એક ગાયક તરીકે પણ તેમનો રુતબો અલગ જ હતો. તેમને ‘રામાયણ’ સિરીયલના દરેક હપ્તામાં પ્રસંગને અનુરૂપ કવિતાઓ લખતા અને અન્ય ગાયકો ઉપરાંત પોતે પણ ગાતા એ કોણ ભૂલી શકે? તેમનો અવાજ તાર સપ્તકમાં આસાનીથી જઈ શકતો અને તેને લીધે તેમની સંગીત રચના ગાવામાં ખુદ લતા મંગેશકરને ખચકાટ થતો. 

જીવનસંગિનિ દિવ્યાજી સાથે એક સમારંભમાં

લતાજીએ ‘સૌદાગર’નું ગીત ‘તેરા મેરા સાથ રહે...’ની અંતરાની બંદીશ સાંભળીને રવીન્દ્ર જૈનને પૂછ્યું હતું, “ખરેખર આ મારાથી ગવાશે?” એ પ્રસંગ યાદ કરતાં લતા મંગેશકરે તાજેતરમાં એક શ્રદ્ધાંજલિ ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે “તે વખતે મને ‘આરઝૂ’નું ‘અજી રૂઠકર અબ કહાં જાઇયેગા, જહાં જાઇયેગા હમેં પાઇયેગા...’ યાદ આવી ગયું હતું.” સંગીતના ઇતિહાસને જાણનારા સૌને ખબર છે કે એ ગીતના રિહર્સ્લ-રેકોર્ડિંગ વખતે લતાજીએ શંકર-જયકિશનને પૂછ્યું હતું કે “આપ લોગ કિસ જનમ કા બદલા લે રહે હૈં!” (ક્યારેક સમય મળે તો ‘અજી રૂઠકર..’ સાંભળજો અને સાથે સાથે અંતરો ગાવાનો ખાલી પ્રયત્ન કરી જો જો.)

 એ જ લતાજી પાસે તેમણે ‘રામ તેરી ગંગા મૈલી’માં ટાઇટલ ગીતમાં હોય કે ‘હીના’ના ‘ચિઠ્ઠીયે દર્દ ફિરાક વાલિયે, લે જા લે જા સંદેસા સોણે યાર દા’ જે ઊંચા સ્વરમાં ગવડાવ્યું છે, તેમાં રવીન્દ્ર જૈનનો ટ્રેડમાર્ક દેખાય છે. ‘રામ તેરી...’ તેમને મળ્યું તેનો ઇતિહાસ પણ આમ તો જાણીતો જ છે કે એક લગ્ન સમારંભની ખાનગી બેઠકમાં રાજકપૂરે તેમને સાંભળ્યા અને વાત બની ગઈ હતી. તે મહેફિલમા રવીન્દ્ર જૈને પોતાની રચના શરૂ કરી....
‘ઇક રાધા, ઇક મીરા, દોનોં ને શ્યામ કો ચાહા, 
અંતર ક્યા દોનોં કી ચાહ મેં બોલો, 
ઇક પ્રેમ દીવાની ઇક દરસ દીવાની..’ 

 અને મુખડું પુરું થતાંમાં તો રાજકપૂર બોલી ઉઠ્યા, “આ ગીત કોઇને આપ્યું તો નથીને?”  દાદુ કહે “આપી દીધું છે...” હજી રાજસાહેબ ‘કોને?’ એમ પૂછે તે પહેલાં કવિ કહે, “રાજકપૂરને!!" તત્કાળ રાજકપૂરે બાજુમાં બેઠેલા ઝુનઝુનવાલા પાસેથી સવા રૂપિયો ઉછીનો લઈને એ ગીત અને સંગીતકાર બન્નેને બોટી લીધા! પછીની મઝા એ હતી કે રાજકપૂર પોતાના સંગીતકારને ગંગા નદીના કિનારે લઈ ગયા અને ત્યાં બેસીને ટાઇટલ ગીત વિચારવા કહ્યું. પોતાના આર્ટિસ્ટ પાસે કામ લેવા રાજસા’બ કેવા લાડ લડાવતા તેનો પણ આ એક દાખલો છે. ગંગા કિનારે બેસીને રવીન્દ્ર જૈનને પિક્ચરના શિર્ષકને અનુરૂપ કેવા અર્થપૂર્ણ શબ્દો સૂઝ્યા? 
‘ગંગા હમારી કહે બાત યે રોતે રોતે, 
 રામ તેરી ગંગા મૈલી હો ગઈ, પાપીયોં કે પાપ ધોતે ધોતે...”! 
 

શ્રદ્ધાળુઓની બેદરકારીને લીધે ગંદી થઈ ગયેલી ગંગાના એ સ્વરૂપને દુષ્કર્મોથી મુક્તિ મેળવવા કરાતા તેના પવિત્ર સ્નાન સાથે જોડી દેવાથી કેવી ચોટદાર કવિતા બની! દેખીતી કચરા-પ્લાસ્ટિક વગેરેની ગંદકીની સાથે સાથે ‘પાપીઓં કે પાપ’ પણ ગંગામાં એક ડૂબકી લગાવવાથી ધોવાઇ જતાં હોય તો પછી એ પાપોનો ગંદવાડ પણ તેમાં જ રહ્યો છે એવો સુક્ષ્મ અર્થ પણ આપીને એ કવિતાને એક નવી જ ઊંચાઇ બક્ષી હતી.
એ આટલાં અર્થસભર ગીતો લખતા અને  એ જ કલમથી ‘પતિ પત્ની ઔર વોહ’માં એક મજેદાર કોમેડી ગીત પણ નીકળ્યું. યાદ છેને? સંજીવકુમાર હાથમાં લોટા સાથે ધ્રુજતા ધ્રુજતા મહેન્દ્ર કપૂરના સ્વરમાં રવીન્દ્ર જૈનની લખેલી આ પંક્યિઓ લલકારે છે...‘ઠંડે ઠંડે પાની સે નહાના ચાહિયે, ગાના આયે યા ન આયે ગાના ચાહિયે’! (લતાજીએ તેમની અંજલિમાં એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે દાદુ જ્યારે મળે ત્યારે ‘રિયલી ફની જોક્સ’ પણ સંભળાવતા.)

જો કે લતા મંગેશકરને બદલે રવીન્દ્ર જૈને પોતાનાં ઠેઠ કલકતાનાં સાથી હેમલતા પાસે જ મોટાભાગનાં શરૂઆતી ગીતો ગવડાવ્યાં હતાં. (તેમની પ્રથમ ફિલ્મ ‘કાંચ ઔર હીરા’માં પણ હેમલતાનું એક ગીત હતું!) તેમણે જસપાલસિંગ જેવા હિન્દી સિનેમા માટે સાવ અજાણ્યા ગાયકને લાવીને ‘ગીત ગાતા ચલ’ના દિવસોમાં જે હલચલ મચાવી હતી તે હજીય યાદ છે. એ જ રીતે યેસુદાસને મલયાલમ ફિલ્મોમાંથી ‘જબ દીપ જલે આના, જબ શામ ઢલે આના’ કે પછી ‘તુ જો મેરે સુર મેં સુર મિલા લે...’ જેવાં ગાયનો સાથે મુંબઈના સિનેસંગીતમાં અધિકારપૂર્વક જગ્યા કરી આપી. તો સુરેશ વાડકરને શાસ્ત્રીય સંગીતની એક સ્પર્ધાના જજ તરીકે તેમણે પારખ્યા અને વિજેતા જાહેર કર્યા હતા. એ સૌ પણ રવીન્દ્ર જૈનના વિવિધ સમારંભોમાં ઉપસ્થિત રહેતા, જે સંબંધો જાળવવાની ‘દાદુ સ્ટાઇલ’ને પણ આભારી કહી શકાય.

 
એટલે તેમના દેહાવસાન પછીની પ્રાર્થનાસભામાં સુરેશ વાડકર, ઉદિત નારાયણ, અનુપ જલોટા, પીનાઝ મસાણી, દુર્ગા જસરાજ, ભપ્પી લહેરી, લલિત પંડિત વગેરે જેવા સંગીતના કલાકારોની સાથે જ ‘હીના’ના ડાયરેક્ટર રણધીર કપૂર અને રાજશ્રી પ્રોડક્શનના સૂરજ બડજાત્યા સહિતના સૌ હાજર હતા. તેમાં હેમામાલિની પણ ઉપસ્થિત હતાં, જેમની ટેલીસિરીઝ ‘નૂપુર’માં દાદુનું સંગીત હતું. સાથે સાથે એ પણ હકીકત છે કે ’૯૦ના દશક પછી મ્યુઝિકમાં પાશ્ચાત્ય રિધમનું પ્રમાણ વધતાં તેમનું કામ ઘટતું ચાલ્યું. પછી તો તેમની વરસે એકાદ-બે ફિલ્મો આવતી હતી. એ અવકાશના સમયમાં તેમણે એક પુસ્તક ‘દિલ કી નઝર સે’ પણ લખ્યું (લખાવ્યું). એટલું જ નહીં, તેના વિમોચનમાં મુખ્ય મહેમાન તરીકે રેખા અને હેમામાલિની જેવી એક સમયની સુપરસ્ટાર હીરોઇનો ઉપસ્થિત પણ રહી. 


હજી આ વરસે જ ૮મી એપ્રિલ, ૨૦૧૫ના રોજ તેમને ભારતની સમગ્ર પ્રજાના આદર જેવું પદ્મશ્રીનું સન્માન રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુકરજીના હસ્તે અર્પણ થયું હતું! આમ, સિનેમા જેવા વિઝ્યુઅલના માધ્યમમાં ચર્મચક્ષુઓના અભાવમાં પણ આટલી સરસ કાવ્ય રચનાઓ અને ભારતીય સંગીતની સરવાણીઓ વહાવનાર રવીન્દ્ર જૈનનું જીવન કોઇ પણ નિરાશ વ્યક્તિને પ્રેરણા આપી શકે એવું હતું. તેમને શ્રદ્ધાંજલિ આપતાં તેમની જ એક શાયરી યાદ કરીએ. પોતાનાં પ્રજ્ઞાચક્ષુઓ વિશે સ્ટેજ પ્રોગ્રામમાં તે કાયમ પોતાનો આ શેર કહેતા....

“ચાંદ સૂરજ કે જો હો ખુદ મોહતાજ, ભીખ ન માંગો ઉન ઉજાલોં કી,
બંધ આંખોં સે કરો ઐસે કામ, કિ આંખ ખુલ જાય આંખવાલોં કી..”!

Saturday, October 17, 2015

ફિલમની ચિલમ.... ૧૮ ઓક્ટોબર ૨૦૧૫

‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’નું નામ આવતાં શાહરૂખ, કાજોલની સાથે એ પંક્તિના ‘કવિ’ રવીન્દ્ર જૈનને કેટલા યાદ કરતા હશે?


સુમધુર ધૂનોના ‘દાદુ’ સંગીતકાર અને કલ્પનાશીલ ગીતકાર... રવીન્દ્ર જૈન!



સપ્તાહે ૯મી ઓક્ટોબરે રવીન્દ્ર જૈનની ચિરવિદાય સાથે એક ઔર સંગીતકારના સ્વર શાંત થઈ ગયા! તેમની યાદ તાજી કરતાં જ ‘જબ દીપ જલે આના, જબ શામ ઢલે આના...’થી માંડીને ‘સુન સાયબા સુન પ્યાર કી ધૂન’  જેવાં કંઈ કેટલાંય ગીતો મનમાં ગૂંજવા માંડે, ત્યારે મોટાભાગના સૌ તેમને સાદગીભરી અને કર્ણપ્રિય ધૂનોના સંગીતકાર તરીકે યાદ કરે. પરંતુ, બહુ ઓછા ભાવકો તેમને સુંદર કવિતાઓના રચયિતા તરીકે સ્મૃતિમાં સાચવતા હશે. તેમની શરૂઆતી ફિલ્મોમાં ‘ગીત-સંગીત રવીન્દ્ર જૈન’ એમ લખાતું ત્યારે તેમના સુમધુર સંગીતની પ્રશંસામાં એક કવિ તરીકેનું મૂલ્યાંકન ખાસ ના થયું. (કવિ તરીકે તેમને ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ ગણી લેવાયા.) તેમની કવિતાઓના શબ્દોનું મહત્વ એ કારણે વધી જાય છે કે, સૌ જાણે છે એમ, રવીન્દ્ર જૈન જન્મથી અંધ હતા. તેમ છતાં તેમની કાવ્ય રચનાઓમાં કેવી કેવી કલ્પનાઓ આવી શકતી તેનો આદર્શ નમૂનો એટલે ‘ગીત ગાતા ચલ મુસાફિર ગુનગુનાતા ચલ’. તેના અંતરામાં એ લખે છે, “ચાંદી સા ચમકતા યે નદિયા કા પાની, પાની કી હરેક બુંદ દેતી જિંદગાની, અંબર સે બરસે જમીન પે ગિરે, નીર કે બિના તો ભૈયા કામ ના ચલે..”


વિચાર તો કરો? જે વ્યક્તિએ જન્મથી કદી પણ કશું જ ના જોયું હોય અને માત્ર આભાસ જ અનુભવ્યા હોય એ નદીના પાણીને ચાંદી જેવું ચમકતું લખે કે પછી આકાશ માટે ‘અંબર’ જેવો શબ્દ વાપરે! તે જ રચનામાં તે એક તબક્કે કહે છે, ‘કુંભલા ન જાયે તેરા મન કહીં કોમલ’. તેમાંનો શુદ્ધ હિન્દી શબ્દપ્રયોગ ‘કુંભલા જાના’ (કરમાઇ જવું) તે ગીત આવતા પહેલાં કે તે પછી ‘હિન્દી’ સિનેમાનાં ગાયનોમાં કેટલી વાર વપરાયો હશે એ સંશોધકોએ ચકાસવા જેવું છે. એ ગીતમાં  હજી જાણે ઓછું કાવ્ય-તત્વ હોય એમ તે પછીની પંક્તિમાં ‘જલ જો ન હોતા તો યે જગ જાતા જલ’ એમ લખીને ‘જલ’ શબ્દના બે અર્થને સાંકળીને એ શ્લેષ અલંકારનો પણ સરસ ઉપયોગ કરી બતાવે છે. તેમની કલમેથી ‘ચોર મચાયે શોર’ના એક ગીત માટે નીકળેલા શબ્દો ‘લે જાયેંગે, લે જાયેંગે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે...’ ફિલ્મી ઇતિહાસની એક સૌથી વધુ સમય ચાલેલી ફિલ્મના ટાઇટલ તરીકે ઉપયોગમાં લેવાયા. એ ફિલ્મનું નામ આવતાં સૌ કોઇને શાહરૂખ, કાજોલ અને આદિત્ય ચોપ્રા યાદ આવે. પરંતુ, કેટલાનું ધ્યાન એ અમર પંક્તિના રચયિતા ‘કવિ’ રવીન્દ્ર જૈન તરફ જતું હશે? તેમનાં લખેલાં ગીતોમાં ‘અંખિયોં કે ઝરોખોં સે મૈને દેખા જો સાંવરે’ અને ‘સુનયના’ના ટાઇટલ ગીત જેવાં આંખોની ખુબસુરતીની તારીફનાં ગાયનપણ છે. ‘સુનયના’ના શિર્ષક ગીતમાં તો એ ‘ઔર મૈં તુમ્હેં દેખતે હુએ દેખું’ એમ લખીને કમાલ કરી જાય છે. જ્યારે હકીકત એ હતી કે ૧૯૪૪ની ૨૮મી ફેબ્રુઆરીએ અલીગઢમાં તેઓ જન્મ્યા ત્યારે તેમની આંખો ખુલી જ નહતી!


બંધ આંખોવાળા જન્મેલા બાળકનાં નયનોને તેમના પિતાજી ઇન્દ્રમણી જૈનના એક મિત્ર ડોક્ટર મોહનલાલે ઓપરેશન કરીને ખોલ્યાં તો ખરાં પણ સાથે સાથે સૂચના આપી કે આંખોમાં જે કાંઇ મામૂલી તેજ છે, તેના ઉપર શ્રમ ન પડે એ રીતે તેને ઉછેરજો. એટલે કાચના વાસણની સંભાળ રખાય એમ તેમને માતા-પિતા ઉપરાંત તેમના ૭ ભાઇઓ અને એક બહેને સંભાળ્યા. તેમનો ક્રમ પરિવારમાં ચોથો હોઇ મોટાભાઇઓ વાંચી સંભળાવે એ પૌરાણિક વાર્તાઓ-કવિતાઓ તે સાંભળે અને પોતાનાં પ્રજ્ઞા ચક્ષુઓને સતેજ કરતા ગયા. પિતાજીએ પણ આંખોને શ્રમ ન પડે એ માટે સંગીતને પ્રાધાન્ય આપવા માંડ્યું. બાળક રવીન્દ્રએ મંદિરમાં જઈને રોજ એક ભજન તો ગાવાનું જ એવો નિત્યક્રમ બનાવડાવ્યો અને તેના બદલામાં રોજ ‘બાબુજી’ તરફથી એક રૂપિયો મળે. તેથી જાણીતા સંગીતકાર થયા પછીના એક ઇન્ટર્વ્યુમાં રવીન્દ્ર જૈને હસતાં હસતાં કહ્યું હતું કે “મૈં તો પહલે દિન સે હી પેઇડ આર્ટિસ્ટ હું!”


મંદિરમાં દરરોજ જવાને કારણે ધર્મગ્રંથો અને ધાર્મિક-સાંસ્કૃતિક કાવ્યો અને તેનાં અર્થઘટનોથી દૈનિક પરિચય થવા માંડ્યો, જે આગળ જતાં ‘રાધા કા ભી શ્યામ હૈ તો મીરા કા ભી શ્યામ’ જેવાં ફિલ્મી ગીતની રચનાનો પાયો બન્યાં. સંગીતમાં તેમની રૂચિ બરાબર ખીલી રહી હતી તે દિવસોમાં તેમના કાકાના દીકરા પદ્મભાઇએ બંગાળના રવીન્દ્ર સંગીતની વાત કરી અને પિતાજીએ મંજુરી તથા આપેલા ૭૫ રૂપિયા લઈને એ ભાઇ સાથે ઉપડ્યા કલકત્તા. અહીં ફિલ્મો સાથે સંકળાયેલા રાધેશ્યામ ઝુનઝુનવાલા સાથે પરિચય થાય છે અને સંગીતના ટ્યુશનનું કામ મળે છે.... એક ચા અને સમોસાના મહેનતાણાથી! પહેલી નોકરી ‘બાલિકા વિદ્યાભવન’માં ૪૦ રૂપિયાના પગારથી અને કલકત્તામાં એ ટકી ગયા. અહીં તેમની મુલાકાત પંડિત જસરાજ અને પંડિત મણીરામ સાથે થઈ. તો ગાયિકા હેમલતા પણ ત્યાં જ ભેગાં થયાં. બન્ને મળીને એક ગ્રામોફોન કંપની માટે બંગાળી ગીતો બનાવે છે. ત્યાં મળ્યા આપણા હરિભાઇ એટલે કે એક્ટર સંજીવકુમાર. એ પોતે પણ સ્ટ્રગલ કરતા હતા. પરંતુ, સ્ટેજ પ્રોગ્રામોમાં એ વ્યસ્ત જરૂર રહેતા હતા. રવીન્દ્ર જૈન એવા કાર્યક્રમોમાં દોઢસો રૂપિયામાં હાર્મોનિયમ વગાડતા. સંજીવકુમારે તેમને મુંબઈ આવવા કહ્યું હતું. એટલે જ્યારે ૧૯૬૮માં ઝુનઝુનવાલાએ પોતાનો કેમ્પ મુંબઈ ઉઠાવ્યો, ત્યારે રવીન્દ્ર જૈન પણ હરિભાઇના બોલ પર પહોંચ્યા મુંબઈ.


મુંબઈમાં સંજીવકુમારે બોલ પાળ્યો અને ‘પારસ’ ફિલ્મના સેટ પર નિર્માતા એન. એન. સિપ્પી સાથે મુલાકાત કરાવી. તેમની ફિલ્મો ‘ચોર મચાયે શોર’ અને ‘ફકીરા’ના સંગીતની ધૂમ સફળતા પછી રવીન્દ્ર જૈન કોમર્શિયલ ફિલ્મોના મ્યુઝિક ડીરેક્ટર તરીકે પણ માન્ય થયા એ કોણ નથી જાણતું? તે અગાઉ મુખ્યત્વે ‘રાજશ્રી’ના સંગીતકાર તરીકે અને મિત્રવર્તુળોમાં એ ‘દાદુ’ તરીકે જાણીતા હતા. ‘રાજશ્રી’ના તારાચંદ બડજાત્યા સાથે તેમની મુલાકાત હિન્દીના જાણીતા કવિ રામરીખ મનહર દ્વારા થઈ હતી. તે રીતે જુઓ તો કવિતાએ જ તેમને માટે સાચા અર્થમાં ફિલ્મ સંગીતના દરવાજા ખોલ્યા હતા. તે વખતે ‘રાજશ્રી’ની ‘સૌદાગર’ બની રહી હતી અને તેમાં ગોળ વેચતા શ્રમિકની ભૂમિકામાં અમિતાભ બચ્ચનને નૂતન સામે લીધા હતા. ગીતોનો અવકાશ ઓછો હતો અને છતાં રવીન્દ્ર જૈને આપેલી રચનાઓમાં ‘તેરા મેરા સાથ રહે..’ એ લતા મંગેશકરની, ‘સજના હૈ મુઝે...’ આશા ભોંસલેની, ‘દૂર હૈ કિનારા...’ મન્નાડેની અને ‘હર હસીં ચીજ કા મૈં તલબગાર હું, રસ કા ફુલોં કા, ગીતોં કા બીમાર હું...’ કિશોરકુમારની ટોપ ટ્વેન્ટી જેવી યાદીમાં અધિકારપૂર્વક સામેલ થઈ શકે એવી ‘દાદુ’  છે. 
‘રાજશ્રી’માં ત્યાં સુધીમાં લક્ષ્મીકાન્ત પ્યારેલાલે ‘દોસ્તી’, ‘તકદીર’, ‘જીવન મૃત્યુ’, ‘ઉપહાર’ અને ‘પિયા કા ઘર’ જેવાં સફળ આલ્બમ આપ્યાં હોઇ એન્ટ્રીમાં રિસ્ક લેવા જેવું નહતું. તેથી પ્રથમ ફિલ્મમાં આ બધા જાણીતા પાર્શ્વગાયકોને લીધા. પણ તે પછીની ફિલ્મ ‘ગીત ગાતા ચલ’માં ૯માંથી સાત ગાયનો નવા ગાયકો પાસે ગવડાવવા છતાં સુપરહીટ આલ્બમ આપીને પોતાનો સિક્કો રણકતો કર્યો. હિન્દીમાં કહી તો, ‘અપના લોહા મનવાયા’! પણ આ તો હજી શરૂઆત જ હતી. રવીન્દ્ર જૈનના રસપ્રદ સંગીત-જીવન અને દોઢસો જેટલી ફિલ્મોની કારકિર્દી એક લેખમાં ક્યાં પૂરી થાય એવી છે? એ બધી બાકીની વાતો આવતા રવિવારે! આજે તો તેમને  હ્રદયપૂર્વક શ્રદ્ધાંજલિ!